ગુજરાત
News of Sunday, 22nd May 2022

AAP કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે કોંગ્રેસ: 125 બેઠકોનું લક્ષ્યાંક :જગદીશ ઠાકોર

વડોદરામાં મધ્યઝોનની બેઠક : તમામ હોદ્દેદારોએ હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી

વડોદરા : કોંગ્રેસ પાર્ટીની આજે વડોદરામાં મધ્યઝોનની બેઠક મળી હતી.જેમાં ગુજરાત કોંગ્રેસના મધ્યઝોનના તમામ હોદ્દેદારોએ હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

  રઘુ શર્માએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, સરકારે પહેલા પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો કર્યો, પરંતુ હવે જ્યારે ઈલેક્શન આવી રહ્યુ છે માટે ચૂંટણીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમે ભાજપને લોકો વચ્ચે એક્સપોઝ કરીશુ.

  વધુમાં પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે આગામી ચૂંટણીમાં અમે 125 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ગુજરાત કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ દાહોદથી આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમ શરૂ કર્યા છે. કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલમાં વેટ ઓછો કરવાની જાહેરાત કરી તેમાં રાજ્ય સરકાર પણ સહયોગી હોવી જોઈએ. સરકારે પહેલા ભાવ વધાર્યા અને હવે ભાવ ઘટાડવા પર આવ્યા આ ચૂંટણીલક્ષી નિર્ણય છે. સાથે જ રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રચારને લઈ માહિતી આપી હતી કે રાહુલ ગાંધી રાજ્યના ચારેય ઝોનમાં પ્રચારમાં જોડાશે. કોંગ્રેસ દ્વારા કોઈ જ કચાસ છોડવામાં આવશે નહીં તેવી હામ પણ રઘુ શર્માએ ભરી હતી.

  આ બેઠક બાદ જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. જેમાં જગદીશ ઠાકોરે આ ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધનનો ઈનકાર કર્યો હતો. તેમને કહ્યુ હતુ કે, આ ચૂંટણીમાં અમારૂ લક્ષ 125 બેઠક જીતવાનુ છે. 2022 સુધીની રણનીતિ બનશે તેમજ ચારેય ઝોનમાં 23 તારીખ સુધી કાર્યક્રમ થશે. AAP સાથે કોઈ ગઠબંધન કરવાની વાત જ નથી તેવો જગદીશ ઠાકોરે સ્પષ્ટ ફોડ પાડ્તા કહ્યું હતું કે નરેશ પટેલ ક્યારે કોંગ્રેસમાં આવશે તે તેમણે નક્કી કરવાનું છે.

(9:23 pm IST)