વડોદરાના દશરથ ગામમાં મંદિર બનાવવા મામલે બે જૂથો વચ્ચે ધીંગાણું
વડોદરા:શહેર નજીક દશરથ ગામમાં માતાજીનું મંદિર બનાવવાના મુદ્દે એક જ કોમના બે જુથો વચ્ચે થયેલી તકરાર બાદ સાસમામે હુમલો અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો જેમાં બે મહિલા સહિત આઠ વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી. દશરથગામ ઈન્દિરાનગરમાં પરિવાર સાથે રહેતા સરોજબેન રાજેશભાઈ ચૈાહાણ ઘર પાસે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ગઈ કાલે સાંજે તેમણે અજીત પ્રતાપસિહ સોલંકી અને મહેન્દ્ર અરવિંદ વસાવાને બોલાવીને સમજાવ્યા હતા કે તમારે જોગણી માતાનું મંદિર બનાવવું હોય તો તમારા પાછલા ફળિયાના મિત્રોને બોલાવશો નહી.તેઓ આપણા મોહલ્લામાં આવીને આપણને કાયમ માટે હેરાન કરશે.તમારે મંદિર બનાવવા પૈસાની જરૃર હોય તો આપણા મોહલ્લાના માણસો પૈસા ભેગી કરીને મંદિર બનાવીશું. તેમની વાતની મહેન્દ્રએ લગ્નપ્રસંગમાં ભેગા થયેલા મિત્રોને વાત કરી હતી જેના પગલે દશરથગામના ઈન્દિરાનગરમાં રહેતાં મનોજ ઉર્ફ મુન્નો દિનેશ વસાવા, દિલીપ અંબાલાલ માળી,જીગ્નેશ ગોરધન માળી, વિક્રમ સોમાભાઈ ગોહિલ, જીગ્નેશ ટીનાભાઈ માળી, નગીન ભૂપેન્દ્ર જારિયા,શૈલેષ ભુપેન્દ્ર જારિયા, યોગેશ સોમાભાઈ ગોહિલ, રણજીત શનાભાઈ ગોહિલ અને મહેન્દ્ર અરવિંંદ વસાવા સહિતનું ટોળુ ગત મોડી રાત્રે ઈન્દિરાનગર ટપાલી ફળિયામાં કારમાં ધસી ગયુ હતું.