ગુજરાત
News of Friday, 22nd January 2021

ગુજરાતમાં ભૂમાફિયા,લાંચિયા, ટપોરીઓની ખેર નથી, પોલીસને બોડી કેમેરાથી સજ્જ કરાશેઃ વિજયભાઇ

રાજ્યના પોલીસ ખાતામાંથી આરઆરસેલની નાબૂદી, ઘ્પ્ રૂપાણીએ કહ્યું આવા તત્વોની સાત પેઢીને યાદ રહે એવી કાર્યવાહી કરવી પડેઃ એસીબી, પોલીસ વડા, મહેસૂલ સચિવ અને સીએમની સંયુકત પત્રકાર પરિષદ

ગાંધીનગર : રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે અને તેના વિશે માહિતી આપી છે. સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી. આ પ્રેેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

 સીએમ રૂપાણીએ કહ્યું કે કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે,ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે.

 સીએમ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યૂરોને સરકાર દ્વારા ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં ૨૫૮ કેસ, ૨૦૧૭માં ૧૪૮, ૨૦૧૮માં ૩૩૨, ૨૦૧૯માં ૨૫૫, ૨૦૨૦માં ૧૯૯ કરપ્શનના કેસ કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં ૪૩૩ વ્યકિત, ૨૦૧૭માં ૨૧૩, ૨૦૧૮માં ૭૩૦, ૨૦૧૯માં ૪૭૦, ૨૦૨૦માં ૩૧૦ લાંચિયા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૬માં ૨૬ કરોડ, ૨૦૧૮માં ૧૫, ૨૦૧૮માં ૩ કરોડ, ૨૦૧૯માં ૪૭ કરોડ, ૨૦૨૦માં ૫૦.૫૫ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે. ૨૦૨૧માં ૮ દિવસમાં ૩૩ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે. ૨૨૦ કરોડથી વધુની જમીનમાં લેન્ડગ્રેબિંગની અરજી આવી આ પ્રેેસ કૉન્ફરન્સમાં લેન્ડ ગ્રેબિંગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ ગ્રેબિંગ એકટ પસાર કર્યો હતો. આ અંગે અત્યારસુધીમાં ૬૪૭ અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં ૧૬ એફઆઈઆર દાખલ કરી અને ૩૪ લેન્ડગ્રેબરનો સમાવેશ થાય છે. ૧ લાખ ૩૫૦૦૦ ચોરસમીટરથી વધુની જમીન છે. આ જમીનની જંત્રી કિંમત ૨૨૦ કરોડથી વધારે સંકળાયેલી છે. આ ૧૬ એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે.

 ૧૨૪૦ વ્યકિતને પાસા થયા

આ પ્રેસ કૉન્ફરન્સમાં ડીજીપી આશિષ ભાટીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા ભાટીયાએ જણાવ્યું કે પાસામાં સાયબર ક્રાઇમ સહિતની નવી કેટેગેરી ઉમેરવામાં આવી છે. ૩૧ માર્ચ ૧૨૪૦ વ્યકિતઓને પાસા કરવામાં આવ્યા છે. પાસાનો ઉપયોગ કરી માથાભારે વ્યકિતઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ સાથે ગુજસીટોકનો કાયદો ઘડવામાં આવ્યો છે. અત્યારસુધીમાં કુલ ૧૧ કેસમાં ૧૦૦થી વધુ માથાભારે આરોપીઓ સો કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦,૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 આરઆરસેલની નાબૂદી

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૧૯૯૫થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યકિત નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

(12:29 pm IST)