ગુજરાત
News of Saturday, 21st August 2021

મા-બેનની આબરૂ લૂંટાતી હોય તો ચૂપ નહિ બેસું : અલ્પેશ ઠાકોર

વડોદરા દુષ્કર્મ કેસમાં રાજનીતિ શરૂ : ઘટના બાદ એક પણ રાજનેતા જોવા નથી આવ્યો, સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોવા નથી આવ્યા : અલ્પેશ ઠાકોર

વડોદરા,તા.૨૦ : વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ હત્યા પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મહિલાના પરિવારજનોની મુલાકાત કરીને મોટુ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં નિર્ભયાકાંડ થયો છે. હસતા પરિવારને હવસખોરોએ ખેદાન મેદાન કર્યો છે. આ અંગે અમે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીશું. આ ઘટના બાદ એક પણ રાજનેતા જોવા નથી આવ્યો. સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોવા નથી આવ્યા. પીડિતાના પરિવારને ન્યાય અપાવવા ભાજપીય નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે.  વડોદરાની પીડિતાને ન્યાય અપાવવાના મામલે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ બનાવને સખત શબ્દોમાં હું વખોડું છું અને સાથે સરકારને વિનંતી અને ચેતવણી સાથે કહું છું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે.

    આ કેસના તમામ દોષીઓને ફાંસીની સજા કરવામાં આવે. નરાધમોએ એક હસતા-ખેલતા પરિવારની દીકરી અને ૩ સંતાનોની માતા સાથે દુષ્કર્મ કરીને પરિવારને વિરવિખેર કરી નાખ્યો છે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એવા લોકોને ફાંસી થવી જ જોઇએ એવી માગણી કરું છું અને આખા ગુજરાતમાં આવનારા સમયમાં આવેદનો પણ આપીશું. મારાથી તો આવી નમાલી રાજનીતિ નહીં થાય, મા-બેનની આબરૂ લૂંટાતી હોય, તેમની નિર્મમ હત્યાઓ થતી હોય અને હું ચૂપ બેસું એ મારો સ્વભાવ નથી. પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા ૧૭ વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી.

૧૬ ઓગષ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે ૬ હવસખોરો ધસી આવ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર ૬ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ અને હત્યા કરીને લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. સામુહિક દુષ્કર્મ આચરી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારનાર ૬ નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(9:22 pm IST)