ભૂપેન્દ્રભાઈ 2023માં મુખ્યમંત્રી હશે: જીતુ વાઘાણીના નિવેદન પર રઘુ શર્માએ કહ્યું - એ જનતાનું અપમાન
રઘુ શર્માએ કહ્યું કે, મુખ્યમંત્રી પસંદ કરવાનો હક ભાજપ પાસે નથી. કોને મુખ્યમંત્રી બનાવવા, તે જનતા નક્કી કરશે
અમદાવાદ : રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ વિધાનસભા ચૂંટણીને લઇ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે આગામી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ રહેવાનું જણાવ્યું હતું. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રતિક્રિયા આપી છે. રઘુ શર્માએ કહ્યું કે, મુખ્યમંત્રી પસંદ કરવાનો હક ભાજપ પાસે નથી. કોને મુખ્યમંત્રી બનાવવા, તે જનતા નક્કી કરશે. જીતુભાઈ વાઘાણીએ જનતા અને લોકતંત્રનું અપમાન કર્યું છે. આ પ્રકારનું નિવેદન ભાજપનો ઘમંડ દર્શાવે છે.
આજ રોજ ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં LD કોલેજનો કાર્યક્રમ યોજાયો હતો. જીતુભાઈ વાઘાણીએ આ કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, '2023માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના કાર્યક્રમમાં પાછા આવીશું.આ વાત કહેતાની સાથે જ કાર્યક્રમમાં હાજર લોકોએ તાળીઓ અને ચીસો પાડી વધાવી લીધી હતી.