IAS કે.રાજેશના રિમાન્ડ કોર્ટે ફગાવ્યા :રફીક મેમણને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
કોર્ટે કહ્યું હતું કે મુખ્ય આરોપી પકડાયા ના હોવા છતા ક્યાં આધાર પર સહ આરોપીઓના રિમાન્ડની માગણી કરાઈ છે
અમદાવાદ : ગુજરાતમાં કથિત જમીન કૌભાંડના આરોપમાં ઘેરાયેલા IAS અધિકારી કે. રાજેશના કેસમાં રફિક મેમણને કોર્ટમાં રજૂ કરાયા હતા. CBI દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી રિમાન્ડ એપ્લિકેશન મામલે કેટલોક વિરોધાભાસ જોવા મળ્યો હતો કોર્ટે રિમાન્ડની માગણી ફગાવતા સરકારી વકીલને ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે મુખ્ય આરોપી પકડાયા ના હોવા છતા ક્યાં આધાર પર સહ આરોપીઓના રિમાન્ડની માગણી કરાઈ છે. જેમાં આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ આખી ફરિયાદ બનાવટી હોવાનું જણાય છે. તેની સાથે જ કોર્ટે રફિક મેમણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના વધુ એક IAS પર CBIએ ગાળ્યો કસ્યો છે. સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે. IAS અધિકારી પર લાંચનો આરોપ લાગતા CBIએ કે.રાજેશને ત્યાં શુકવારે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતોનુસાર CBIની ટીમોએ ગાંધીનગર, સુરત, અને સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા.
તેમજ કે. રાજેશના વતન ખાતે પણ CBIની એક ટીમે તપાસ શરૂ કરી છે. જ્યારે કે. રાજેશના વિશ્વાસુ ગણાતા રફિક મેમણની પણ CBIએ સુરતથી ધરપકડ કરીને ગાંધીનગર લવાયો છે. CBIની ટીમોએ રફિકની સૈયદપુરા સ્થિત દુકાને તપાસ હાથ ધરી હતી. સાથે જ તેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. જ્યારે પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
CBIએ રફિકને સાથે રાખીને ત્રણ કલાક સુધી દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રફિક મેમણ કે.રાજેશનો અત્યંત વિશ્વાસુ હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે રફિક કે.રાજેશ માટે કામ કરતો હતો. મહત્વપૂર્ણ છે કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના વતની છે. અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. જે અગાઉ સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે
તેમને ઉમદા કામગીરી બદલ 2017માં શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બંદુક લાઇસન્સની મંજૂરી માટે પણ લાંચ લીધી હોવાનો અરજદારો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપોને પગલે IAS કે.રાજેશ સામે CBIએ કાર્યવાહીનો ગાળીયો કસ્યો છે.