દાહોદ:દેવગઢબારીયા મોટા તળાવમાં સવારના સમયે 28 વર્ષીય પરિણીતાની લાશ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાહોદ : દેવગઢબારિયાના માનસરોવર(મોટા તળાવ)માં સવારના સમયે બેટ વિસ્તારમાં ૨૮ વર્ષીય પરિણીતા તેમજ એક પુત્રની માતાની લાશ મળી આવતા પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાણીમાં લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લાશને બહાર કાઢતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. મૃતક યુવતીના પિતાને જાણ કરાતા તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને દીકરીને લાશને ઓળખી કાઢી હતી.
મોટી ખજૂરીના રહેવાસી શનાભાઈ ભાવાભાઈ બારીયા પોલીસને કહ્યું કે પુત્રી ભારતીના લગ્ન બે વર્ષ પહેલા સાતકુંડા ગામના વિપુલભાઈ ગણપતભાઈ રાઠવા સાથે થયા હતા તેને એક પુત્ર પણ છે. સાસરીવાળા મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા જે અંગેની ફરિયાદ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભારતી સાતકુંડા ગામેથી દેવગઢબારિયા કેવી રીતે આવી, તળાવમાં શા માટે ઝંપલાવ્યું તેની તપાસ સાથે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.