અધિક્ષક ઇજનેર વર્તુળ-2ની કચેરી અમદાવાદથી સંપૂર્ણ મહેકમ સાથે મહેસાણા ખસેડવાનો નિર્ણય
સ્ટાફ, ફર્નીચર, રેકર્ડ વગેરે તાત્કાલિક અસરથી ખસેડવાની તાકીદ કરાઇ
અધિક ઇજનેર ( માર્ગ અને મકાન ) વર્તુળ-2ની કચેરીનું મુખ્યમથક અમદાવાદથી ખસેડીને તેના સંપૂર્ણ મહેકમ સાથે મહેસાણા શહેર ખાતે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી આ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્રમાં કોઇ ફેરફાર થશે નહીં. આ વર્તુળ કચેરી હસ્તક ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા ( પાલનપુર ) પાટણ તેમ જ કચ્છ ( ભૂજ ) જિલ્લાઓમાં જાહેર માર્ગો તથા ઇમારતોને લગતી કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કચેરીના કામના સંદર્ભે આવતાં રાજયના નાગરિકો અને જનપ્રતિનિધિઓને તેમની રજૂઆત – કામગીરી માટે અમદાવાદ સુધી જવું ના પડે અને વર્તુળ કચેરી નજીકના સ્થળે હોવાથી નાણાં અને સમયની પણ બચત થાય તે હેતુથી આ નિર્ણય કરાયો છે. આ કચેરી તાત્કાલિક અસરથી કાર્યાન્વિત કરવાની રહેશે.
અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ-2 અમદાવાદની કચેરીનું મુખ્ય મથક અમદાવાદ ખાતેથી ખસેડીને મહેસાણા ખાતે રાખવાનું હોવાથી હવેથી આ કચેરીનું નામાભિધાન અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ- મહેસાણા કરવામાં આવે છે. જયારે અમદાવાદ ઇજનેર, અમદાવાદ ( મા.મ.) વર્તુળ-1ના સ્થાને હવે માત્ર અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ, અમદાવાદ કરવામાં આવ્યું છે.
અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ-2 અમદાવાદની કચેરીનો તમામ સ્ટાફ, ફર્નીચર, રેકર્ડ, વાહનોને મહેસાણા ખાતેની કચેરી ખાતે સ્થળાંતર કરવા અંગેની તમામ કાર્યવાહી સંબંધિત અધિક્ષક ઇજનેરે તાત્કાલિક હાથ ધરવાની રહેશે. આ કચેરીના કોઇપણ અધિકારી- કર્મચારીની બદલી વિભાગની મંજુરી વગર કરી શકાશે નહીં. આ નિર્ણય જાહેર હિતમાં હોવાથી સરકારના ધારાધોરણો મુજબ મળવાપાત્ર તમામ નાણાંકીય તેમ જ તેને લગતા અન્ય આનુષાંગિક લાભો મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત આ કચેરીમાં ફરજ બજાવતાં તમામ અધિકારી/ કર્મચારીઓને મહેસાણા ખાતે અગ્રતાના ધોરણે સરકારી આવાસો ફાળવવા અંગેની કાર્યવાહી કરવા સંબંધિત કલેકટરને તાત્કાલિક હાથ ધરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તક અધિક્ષક ઇજનેરના વડપણ હેઠળ વર્તુળ કચેરીઓ કાર્યરત છે. આ વર્તુળ કચેરીઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવતાં જિલ્લાઓમાં નવા જાહેર માર્ગો તથા ઇમારતો બનાવવાનું તથા હયાત જાહેર માર્ગો તથા ઇમારતોની જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવે છે.
આ ઉપરાંત વર્તુળ કચેરીઓ તેમના તાબાની વિભાગીય તથા પેટા વિભાગીય કચેરીને લગતી તાંત્રિક અને વહીવટી કામગીરીનું સંકલન વિભાગના પરામર્શમાં કરે છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકક્ષી અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ-2 અમદાવાદ હેઠળ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા ( પાલનપુર ) તેમજ પાટણ અને કચ્છ ( ભૂજ ) જિલ્લાનો સમાવેશ થાય છે. જે તે સમયે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓને ધ્યાને લઇને અધિક્ષક ઇજનેર ( મા.મ. ) વર્તુળ 2ની કચેરી અમદાવાદ ખાતે કાર્યરત કરાઇ હતી. જો કે હાલના સંજોગોમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓને ધ્યાને લેતાં તેમ જ રાજયના નાગરિકો અને જનપ્રતિનિધિઓને લોકોપયોગી કામો/ રજૂઆતો કરવામાં અનુકુળતા રહે તે આશયથી આ નિર્ણય કરાયો છે.