વડોદરાના સયાજીગંજ ટાઉનશીપ રોડ પર વુડાના મકાનમાં બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલ મારામારીમાં યુવકનું ગંભીર ઇજાથી મોત
વડોદરા:સયાજી ટાઉનશિપ રોડ પર વુડાના મકાનમાં પિતરાઇ ભાઇઓ વચ્ચે તકરાર થતા મારામારી થઇ હતી.ઇજાગ્રસ્ત યુવકને આંતિરક ઇજા થતા તેનું મોત થયું છે.બાપોદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સયાજી ટાઉનશિપ રોડ વુડાના મકાનમાં રહેતા ધનેશ્વર બળવંતભાઇને ગત રાતે તેમના પિતરાઇ ભાઇ બિરજુ, કાળુ તથા જગદીશ સાથે તકરાર થઇ હતી.ગતરાતે ધનેશ્વરે એક સ્કૂટરનો ભંગારમાં સોદો કરવા બાબતે પ્રવિણ નામના શખ્સને બોલાવ્યો હતો.ધનેશ્વર અને પ્રવિણ વાતચીત કરતા હતા.તે સમયે તેનો પિતરાઇ ભાઇ કાળુ આવી ગયો હતો.અને તેણે પ્રવિણ પાસે ગત વર્ષે વેચેલા બાઇક નામફેર કરવા માટે આધાર કાર્ડની માંગણી કરી હતી.જેથી, ધનેશ્વરે કાળુને કહ્યું હતું કે,હમણાં મારી વાત પૂરી થવા દે, તારી વાત પછી કરજે.આ સાંભળીને કાળુ ઉશ્કેરાયો હતો.કાળુ તથા તેના અન્ય ભાઇઓએ ધનેશ્વરને માર માર્યો હતો.ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક અને હુમલાખોરો વચ્ચે અગાઉ વર્ષ-૨૦૨૧ માં સામસામે ફરિયાદ થઇ હતી.અને તે અંગે ચાર્જશીટ પણ કોર્ટમાં થઇ ગઇ છે.જેમાં આંતરિક ઇજા થતા તેનું મોત થયું હતું.બાપોદ પીઆઇ યુ.જે.જોશીએ હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને પકડી લીધા છે.