ગુજરાત
News of Thursday, 19th May 2022

સોશ્‍યલ મીડિયામાં હિન્‍દુ ધર્મ પર વિવાદીત ટિપ્‍પણી કરનાર AIMIMના નેતા દાનિશ કુરેશી પર ગુન્‍હો દાખલ

જ્ઞાનવાપી મસ્‍જિદમાં શિવલીંગ અને કોર્ટ નિવેદન બાબતે વિવાદીત ટિપ્‍પણી કરી હતી

અમદાવાદઃ જ્ઞાનવાપી મસ્‍જિદ અંગે કોર્ટના નિવેદન અને મળી આવેલા શિવલીંગ બાબતે સોશ્‍યલ મીડિયામાં હિન્‍દુ ધર્મ વિરૂદ્ધ વિવાદીત ટિપ્‍પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્‍તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

AIMIM ના નેતા દાનીશ કુરેશીની પોસ્ટ બાદ એકાએક વિરોધ ઉભો થયો છે. અનેક હિન્દૂ ધર્મના લોકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. આખરે સાયબર ક્રાઇમની ટીમે આ અંગે ગુનો નોંધી દાનીશને ઓફિસમાંથી જ ઉઠાવી લઈ કાયદાના પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી દીધી છે. સોશિયલ મીડિયા ઉપર વિવાદીત ટિપ્પણી લખવા અંગે વધુ એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક ઉપર વિવાદિત પોસ્ટ કરવા મામલે રાજકીય પાર્ટી AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશી સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે. મહત્વનું છે કે, હિન્દુ દેવી દેવતાઓ વિશે પોસ્ટ લખી તેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું. જે બાબતને લઈને અમદાવાદમાં વાસણા અને નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટના કારણે દેશભરમાં હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ હાલમાં ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જિદ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોય ત્યારે અમદાવાદ શહેરમાં AIMIM ના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં શિવલિંગ અંગે લખાયેલા લખાણ અને પ્રશ્નને લઈને વિવાદ વકરતા ચર્ચાનો વિષય બન્યો છે. દાનિશ કુરેશીએ પોતે મૂકેલી પોસ્ટ અંગે કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય હોય તેવું નિવેદન આપ્યું છે.

મહત્વનું છે કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકવા બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેથી અમદાવાદ સાયબર ક્રાઈમને પોસ્ટ મૂકનાર દાનિશ અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આજ રીતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટના કારણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. તેવામાં કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ ન મૂકવા માટે શહેર પોલીસ પણ અપીલ કરી રહ્યું છે અને આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(5:39 pm IST)