કોંગ્રેસને ધરણાની મંજૂરી નહી અને ઔવૈશી માટે સરકારની લાલજાજમ
શિવલીંગ વિષેની અયોગ્ય ટીપ્પણી બદલ કોંગીના હેમાંગ રાવલનો ટોણો
અમદાવાદ તા. ૧૯ :.. ઔવૈશીની પાર્ટીના અમદાવાદનાં એક કાર્યકર્તાએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ કરીને હિન્દુ ભાઇઓની ધાર્મિક લાગણી દુભાવી છે તે ઘટનાને શાંતિ સદ્્ભાવનામાં આસ્થા રાખતા નાગરીકો વખોડે છે તમામ ધર્મોની આસ્થાનું આદર અને સન્માન કરવું આપણી જવાબદારી છે. તેમ કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલ જણાવે છે.
આવી પોસ્ટ કરનારા અસામાજિક તત્વો ગુજરાતમાં કોમી એખલાસ અને સૌહાર્દનું વાતાવરણ બગાડવા માટે આવા બિનજરૂરી અને ઉશ્કેરણીજનક કૃત્યો કરતાં હોય છે તેમને હિન્દુ-મુસ્લિમ ભાઇઓ તરફથી જાકારો આપવો જરૂરી છે શું આ ઘટના પૂર્વઆયોજીત અને સ્પોનસર્ડ ઘટના છે ? ગુજરાતમાં ધરણા પ્રદર્શન માટે કોંગ્રેસને મંજૂરી મળતી નથી પ્રજા માટે ધરણા પ્રદર્શન કરે તો પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે પરંતુ ઔવૈસીની પાર્ટીને ભાજપ સરકાર ધરણા - પ્રદર્શન માટે લાલજાજમ બીછાવે છે. ભાજપ અને ઔવૈસીની પાર્ટીનું અઘોષીત ગઠબંધન આનાથી સાબિત થાય છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપે વિજય પ્રાપ્ત કર્યો પણ યુપીના મુસ્લિમોએ દૂરંદેશી વાપરીને ઔર્વસીને સંપૂર્ણ જાકારો આપ્યો અને તેમની બધી સીટી પર ડીપોઝીટ ડૂલ કરી દીધી. કેટલીક જગ્યાએ તો ઔવૈસીને નાટો કરતાં પણ ઓછા વોટ મળ્યા. મંદી, મોંઘવારી, બેરોજગારી, મહિલા અત્યાચાર અને ભારતીય જનતા પાર્ટીના ર૭ વર્ષના કુશાસનથી ગુજરાતની જનતા હવે ત્રાસી ગઇ છે માટે મુખ્ય મુદાઓને ભુલવાડવા હવે ગુજરાતમાં પણ ભાજપની સરકાર બચાવવા માટે ઔવૈસી આવ્યા છે. તેમ હેમાંગ રાવલ જણાવે છે.