‘હાર્દિક બેઇમાન, તે કોઇ રાજકીય પક્ષમાં ચાલી ન શકે'
ગુજરાત ચૂંટણી પહેલા કોઇ વ્યક્તિના જવાથી પાર્ટીને કોઇ ફરક પડતો નથીઃ પાર્ટી વિચારધારા સાથે ચાલે છેઃ નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાથી હાર્દિકે ઘણું નાટક કર્યું છે : રઘુ શર્માનો હાર્દિક પટેલ પર વાર
અમદાવાદ, તા.૧૮: ગુજરાતની આગામી ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ઉથલપાથલ થઇ રહી છે. ત્યારે કોંગ્રેસથી છેલ્લા ઘણાં સમયથી નારાજ દેખાઇ રહેલા હાર્દિક પટેલે આખરે રાજીનામું આપી દીધું છે. આ અંગે કોંગ્રેસના પ્રભારી રધુ શર્માએ હાર્દિક પટેલ અંગે સ્ફોટક નિવેદનો આપ્યા છે. તેમણે હાર્દિકને બેઇમાન ગણાવ્યો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલ અંગે વાત કરતા જણાવ્યુ કે, બેઇમાન માણસ જ્યાં હોય ત્યાં કોઇ પ્રત્યે સમર્પણ નથી હોતું. તમે પાર્ટી કરતા પોતાને ઉપર રાખો છો, છેલ્લા છ મહિનાથી પાર્ટી સાથે બેઇમાની થતી હતી. બીજેપીના નેતાઓને મળવું, કેસો પાછા લેવા અને પોતાના પિતાની વરસીમાં ભાજપના નેતાઓને બોલાવવા. આ ખેલ હું શું આખું ગુજરાત જોઇ રહ્યું હતુ. આ કોઇ નવી વાત નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૨૮ વર્ષની ઉંમરે ર્વકિંગ પ્રસેડિન્ટ કરતા વધુ તેમને શું બનાવી શકાય? ૨૮ના તો તેઓ અત્યારે થયા પણ તેમને આ જવાબદારી પહેલાની આપી છે. તમે પોતાની લોયલ્ટી ન બતાવો અને બીજી પાર્ટી સાથે સંબંધ બરાબર બનાવી રાખો, આ બેઇમાનીની રાજનીતિ કયાં સુધી ચાલે?
રઘુ શર્માએ કોંગ્રેસના નેતાઓના નેતળત્વ અંગે વાત કરતા જણાવ્યુ કે, પાર્ટીના નેતળત્વમાં કોઇ ખામી નથી, જે પાર્ટીમાં નિષ્ઠા સાથે નથી રહી શકતા, જે કોઇ અનુસાશન પાળવા નથી માંગતા તે કોઇ પોલિટીકલ પાર્ટીમાં ચાલી ન શકે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાત ચૂંટણી પહેલા કોઇ વ્યક્તિના જવાથી પાર્ટીને કોઇ ફરક પડતો નથી. પાર્ટી વિચારધારા સાથે ચાલે છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાથી હાર્દિકે ઘણું નાટક કર્યું છે. પહેલા ઓપન લેટર લખ્યો કે, નરેશ પટેલજી આપ કોંગ્રેસમાં જોડાઓ. હાર્દિકની બીજેપી સાથે મિલીભગત હતી, તેમના બધા કેસો વિથડ્રો કરાવ્યા. ત્રણ દિવસ પહેલા ખોડલધામ જઇને નરેશ પટેલને મળીને આવ્યા. તેમાં એને જાણવું હતું કે, તેમની કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે કે નહીં. નરેશ પટેલે કહ્યું કે, ચાલી રહી છે. તો હાર્દિકે વિચારી લીધું કે, મારી જગ્યા ખત્મ થઇ ગઇ અને પાર્ટી છોડી દીધી.