આણંદ નજીક લાંભવેલમાં ચાર દિવસ અગાઉ મહિલાની મળેલ લાશની ઘટનામાં પોલીસે 40 શકમંદોની પૂછપરછ કરી
આણંદ: પાસેના લાંભવેલ ગામની મોટી નહેર નજીકના ઝાડી-ઝાંખરામાંથી ચાર દિવસ પૂર્વે હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ અજરપુરાની મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને કેટલાક શકમંદોને ઉઠાવી તેઓની ઘનિષ્ઠ પુછપરછ આરંભી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગત તા. ૧૨મી ઓક્ટોબરના રોજ આણંદ પાસેના લાંભવેલ ગામની મોટી નહેર નજીક આવેલ રેલ્વે ગરનાળા પાસેના ઝાડી-ઝાંખરામાંથી ત્રીસથી પાંત્રીસ વર્ષના આશરાની એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે આણંદ શહેર પોલીસની ત્રણ તથા એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ હાથ ધરતા મરણ જનાર મહિલા આણંદ તાલુકાના અજરપુરા ગામની ટીનીબેન રમણભાઈ ગોહેલની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતક મહિલાના પરિવારજનોની પુછપરછ હાથ ધરતા છેલ્લા દસેક વર્ષથી આ મહિલા પતિનું ઘર છોડી ભટકતુ જીવન જીવતી હોવાનું માલૂમ પડયું હતું. જેને લઈ આ મહિલા અનેક લોકોના સંપર્કમાં હોવાનું જણાતા પોલીસે લાંભવેલ સહિતના આસપાસના વિસ્તારોમાં મહિલાના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની પુછપરછ હાથ ધરી છે. પોલીસે આશરે ૪૦ જેટલા શકમંદોની પુછપરછ કરી બનાવની કડીઓ જોડવા પ્રયત્નો હાથ ધર્યા છે.