નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ સપાટીએ : મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી નર્મદા બંધના પાણીના ઇ-વધામણાં કર્યા
ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ : રાજ્ય નર્મદા મંત્રી યોગેશ પટેલ અને નિગમના એમડી રાજીવગુપ્તાના હસ્તે નર્મદા ડેમ ખાતે માં નર્મદાની પૂજા કરી નર્મદાના નિરના વધામણાં કરાયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સરદાર સરોવર નર્મદા બંધ દરવાજા લગાવ્યા બાદ સતત બીજા વર્ષે તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચ્યો છે ત્યારે આજે નર્મદા બંધ ખાતે નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી રાજીવકુમાર ગુપ્તાના હસ્તે માં નર્મદાના નિરના વધામણાં કરાયા હતા અને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરાઈ હતી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી સરદાર સરોવર નર્મદા બંધના નીરના ઇ-વધામણા કર્યા હતા
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મ દિવસ છે ત્યારે ગત વર્ષે આજ દિવસે વડાપ્રધાન મોદી નર્મદા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં નર્મદાની પૂજા અર્ચના કરી હતી અને નર્મદાના નિરના વધામણાં કર્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડા પ્રધાનના અથાક પ્રયત્નો થકી નર્મદા બંધ ઉપર દરવાજા લાગ્યા તેમજ આજે ડેમ સંપૂર્ણપણે ભરી શકાયો છે ઉપરાંત આજના દિવસે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના પ્રસંગે નર્મદા નિગમ ના એમ.ડી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે નર્મદા બંધ બીજીવાર સંપૂર્ણ સપાટીએ ભરાયો છે હાલ ડેમમાં પાણીનો લાઇવ જથ્થો ૫૮૭ કરોડ ઘનમીટર છે. સરદાર સરોવર નર્મદા બંધ એન્જિનિયરિંગનું એક અદ્ભુત ઉત્તમ નમૂનો છે જોવા જઈએ તો સરદાર સરોવર નર્મદા બંધમાં જેટલું સ્ટીલ અને કોન્ક્રીટ વપરાયું છે તેના દ્વારા ૨૭ બુર્જખલીફા બિલ્ડીંગ બનાવી શકાય છે બીજી રીતે જોઈએ તો લંડનથી ન્યૂયોર્ક સુધી ૫.૫ હજાર કિલોમીટરનો પાકો કોન્ક્રીટનો રસ્તો જે ૧૭ સેન્ટીમીટર જાડાઈ ૦૨ મીટર પહોળાઈ નો બની શકે તેટલું કોન્ક્રીટ સરદાર સરોવર નર્મદા બંધમાં વપરાયું છે નર્મદા ના પાણીથી ૦૨ થી ૦૪ લાખ હેક્ટર ખેતીને લાભ થશે
ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ સુધીના કરોડો લોકોને ૦૧ વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડી શકાશે. હાલ નર્મદા બંધ ખાતે ૩.૨૫ કરોડ મિલિયન યુનિટ વીજળી નું ઉત્પાદન થઈ રહ્યું છે જેની કિંમત ૧૩.૨૫ કરોડ રૂપિયા છૅ.
વડાપ્રધાન મોદીએ ડેમના દરવાજા નું લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૩૦૦થી વધી સાધુ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ ડેમના ૩૦ દરવાજા લગાવ્યા બાદ પૂજા અર્ચના કરી ગેટ બન્ધ કરાયા હતા બાદ પ્રથમ વાર નર્મદા બંધ સંપૂર્ણ ભરાતા ૮ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા આજે ફરી નર્મદા બંધ સંપૂર્ણ ભરાયો છે.