અમદાવાદમાં ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા
સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળ્યા
અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત 10મા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1594 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 16 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.