ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદમાં અચાનક ચાની કિટલીઓને બંધ કરાવી દેવાઈ

કોરોનાના ડરથી કોર્પો.ની કાર્યવાહી, લોકડાઉનની અફવા : સોશિયલ ડિસ્ટંન્સિંગનું પાલન ન કરતા એકમો સામે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દ્વારા ચાની કિટલીઓ બંધ કરાવાઈ હતી તથા કોરોનાના નિયમોના ઉલ્લેઘન બદલ અન્ય પણ કેટલિક દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે સવારથી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરમાં કાર્યરત થઈ અને દરેક જગ્યાએ ચાલતી કિટલીઓને બંધ કરાવી દીધી હતી. લાલદરવાજા લકી ટી સ્ટોલ સહિતની મોટા ટી સ્ટોલ પણ બંધ કરી દેવાયા છે. કોર્પોરેશનની આ કાર્યવાહી સામે દુકાનદારોમાં ભારે રોષ છે.

શહેરમાં કોરોનાનો કહેર ફરી માથું ઊંચક્યું છે. રોજે રોજ સત્તાવાર આંકડા અનુસાર ૧૫૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. અનલોક-૪માં અનેક છૂટછાટ આપવામાં આવી હોઈ લોકોમાં વધુ બેદરકારી જોવા મળી રહી હોવાનું જોવા મળે છે. કોર્પોરેશનની ટીમ તેથી જ દુકાનો ખાસ કરીને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટંન્ટિંગનું પાલન કરવામાં આવતું ન હોઈ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ અટકી ગયા બાદ ફરીથી પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ૧૫૦થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરીજનોના વધુમાં વધુ ટેસ્ટ થાય તે માટે શહેરના ગણા વિસ્તારોમાં તથા ગાર્ડનની બહાર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાનવ અમપા દ્વ્રારા કોરોના સંક્રમણ વધતા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલમાં એ.એમ.સી. દ્વારા ચાની કિટલીઓ પર ભીડ એકઠી થતા તેમને બંધ કરાવવામાં આવી હતી. શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમપા કામે લાગી ગઇ છે. શહેરની ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગે આકરી કાર્યવાહી કરી છે. આજે વહેલી સવારથી જ કિટલીઓ બંધ આવી આવી હતી. જે ચાની કિટલીઓ પર ભીડ એકઠી થાય અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી ન થતી હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી હતી. શહેરના તમામ ઝોનમાં ચાની કીટલીઓ બંધ કરાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવતા ૨૦થી વધુ ચાની કિટલીઓને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સિલ મારવામાં આવ્યા છે.

શહેરમાં ચાની કીટલીઓ અચાનક બંધ કરાવતા શહેરીજનો ફરીથી લોકડાઉન થઇ રહ્યું છે તેવું સમજી રહ્યા છે અને આ અંતર્ગત કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. શહેરમાં વહેલી સવારથી જ ચાની કીટલીઓ બંધ કરાવતા માર્કેટમાં એવી અફવાહ પણ વહેતી થઇ છે કે, શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ૨૫ સપ્ટેમ્બરથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવશે. જોકે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં કોઇ સંકેત આપવામાં આવ્યા નથી.

(9:01 pm IST)