ગુજરાત
News of Wednesday, 16th September 2020

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યના નિવાસમાં રહેતા ભાણીયાનો આપધાત : ગળાફાંસો ખાધો

મૃતક રાકેશસિંહ છેલ્લાં કેટલાંક સમયથી પેરાલીસીસની બીમારીથી પણ પીડાતા હતા

ગાંધીનગર : શહેરના સેક્ટર-21માં સદસ્ય નિવાસમાં રાજ્યના તમામ ધારાસભ્યોને રહેવા માટે મકાન ફાળવવામાં આવ્યા છે ત્યારે ઠાસરાના કોંગ્રેસ ધારાસભ્યના નિવાસસ્થાનમા રહેતાં 42 વર્ષીય ભાણીયાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ સેક્ટર-21 પોલીસ સ્ટેશને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી વિગત મુજબ સેક્ટર-21 સદસ્ય નિવાસમાં 12/10 નંબરનું મકાન ઠાસરાનાં કોંગી ધારાસભ્ય કાંતિભાઈ પરમારને ફાળવવામાં આવ્યું છે, ત્યારે આ મકાનમાં તેમનો 42 વર્ષીય ભાણિયો રાકેશસિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો.

રાકેશસિંહ છેલ્લાં કેટલાંક સમયથી પેરાલીસીસની બીમારીથી પણ પીડાતા હતા. જ્યારે ગતરાત્રે સદસ્ય નિવાસના મકાનમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે સેક્ટર-21 પોલીસ મથકે બનાવની જાણ થતાં મૃતકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.

(12:50 pm IST)