ગુજરાત
News of Friday, 15th October 2021

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા વૃદ્ધને બચાવ્યા છતાં સારવાર દરમ્યાન મોત

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધે ગત ૧૧ મીએ તારીખે ઘરે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અચાનક ભાઇ ભાભી આવી જતા તેમણે વૃદ્ધને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.જેમનું આજે મોત થયુ છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મકરપુરા ડેપો  પાસે ઝવેરનગરમાં રહેતા ૬૫ વર્ષના ગોવિંદભાઇ દુલાભાઇ સોલંકી નિવૃત્ત જીવન ગુજારે છે.ગત ૧૧ મી તારીખે સવારે સાડા અગિયાર વાગ્યે તેમણે ઘરે દુપટ્ટાથી એન્ગલ પર ફાંસો ખાવાનો  પ્રયાસ કર્યો હતો.

પરંતુ,તે દરમિયાન તેમના ભાઇ ભાભી આવી જતા  ગોવિંદભાઇને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ,આજે સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, થોડાસમય પહેલા ગોવિંદભાઇ બીમાર પડયા હતા.ત્યારબાદ તેમની તબિયત સારી થઇ ગઇ હતી.પરંતુ,તેઓ નાની વાતોમાં ગુસ્સે થઇ જતા હતા.

તેમના આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયુ નથી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,માણેજા વુડાના મકાનમાં રહેતી ૧૯ વર્ષની મુસ્કાનબાનુ બંગલાઓમાં કામ કરતી હતી.ગઇકાલે સાંજે તેની માતા બહાર ગઇ ગઇ હતી.

તે દરમિયાન મુસ્કાને રસોડામાં ખુરશી  પર ચડી પંખા પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.એક કલાક પછી તેની માતાએ પરત ઘરે આવી ત્યારે બનાવની જાણ થઇ હતી.મકરપુરા પોલીસે તરૃણીના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:42 pm IST)