ગુજરાત
News of Monday, 15th August 2022

આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે - જે પ્રગતિ કરી છે તેના પાયામાં સ્વતંત્ર વીરોનું બલિદાન: નરેન્દ્રભાઈની આગેવાનીમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે: ભુપેન્દ્રભાઈ

અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમી પરથી ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન આજે તિરંગો લહેરાવી તેને સલામી આપી ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. વિશ્વની પ્રાચીનતમ ગીરીમાળા એવી અરવલ્લીના ખોળે વસેલા મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને ૭૬માં સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે,               ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે.

ભારતની આઝાદીની સંઘર્ષ યાત્રા ખૂબ જ લાંબી છે. બ્રિટિશ હુકુમત સામે લગભગ ૯૦ વર્ષ ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું. સાથે-સાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ-પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતાં. એટલું જ નહીં સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું. આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે, ભારતે જે પ્રગતિ કરી છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે, એમ તેમણે ઉમેર્યુ હતું. 

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વીર સપૂતોના સાહસ, શૌર્યનું દેશવાસીઓને સતત સ્મરણ રહે એટલે જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતાના ૭૫માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કોલ આપ્યો છે.                 ૧૨મી માર્ચ ૨૦૨૧થી- ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ૭૫ અઠવાડિયા લાંબો આ આઝાદીનો અમૃત મહોત્સવ તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે.

મુખ્ય મંત્રીશ્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રીના આહવાનને  ઝીલી લઈને કરોડો ગુજરાતીઓએ હરઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ આ દેશને મળી છે તે આપણું સૌભાગ્ય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં દેશના ગરીબ, વંચિત, નબળા વર્ગના લોકો માટે વિશેષ સ્થાન છે, એટલું જ નહી પણ વડાપ્રધાનશ્રીની વિકાસ નીતિ, અને ગરીબોના કલ્યાણની નીતિ એમ દરેક નીતિએ મીઠા ફળ આપ્યા છે. 

શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી, દેશના વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણવ્યું હતું કે, આજે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. તત્કાલિન સમયે તેમણે ચીંધેલા વિકાસના પથ ઉપર આજે ‘ટીમ ગુજરાત’ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટેની યાત્રા નિષ્ઠાપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાત સરકારે નાનામાં નાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત તમામ વર્ગના લોકોની ચિંતા કરી છે. એટલું જ નહી,             લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, સમસ્યાઓનું સમાધાન વેળાસર થાય એવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતે વિકસાવી છે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા ઉપરાંત ખેતી, ગ્રામીણ વિકાસ વંચિતોનો વિકાસ અને ઉદ્યોગોનો પણ વિકાસ એવા હોલિસ્ટીક ડેવલોપમેન્ટના ધ્યેયથી રાજ્ય સરકાર સેવારત હોવાનું જણાવી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આરોગ્ય સુખાકારીને ગુજરાત સરકારે સમાજના વિકાસનો મુખ્ય આધાર બનાવી છે. છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયગાળા સુધી કોરોના મહામારીએ સમસ્ત વિશ્વની પ્રગતિને ધમરોળી નાખી. પરંતુ ગુજરાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના સામેના જંગમાં જીત મેળવી છે. દસ કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

દર અઠવાડીયે શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવારનો નવતર અભિગમ અપનાવીને ત્રણ કરોડથી વધુ નાગરિકોને આ સેવામાં આવરી લીધા છે. આયુષ્યમાન ભારત-પીએમજેએવાય ‘મા’ યોજનામાં ૧ કરોડ ૪૫ લાખ લાભાર્થીઓને આવરી લીધા છે. રાજ્યના સાડાચાર લાખ જેટલાં નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે. જરૂરીયાતમંદ ગ્રામીણ લોકોને આ યોજનાનો લાભ સરળતાએ મળે તે માટે તલાટી દ્વારા અપાતા આવકના દાખલા ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વાવણીથી વેચાણ સુધી  રાજ્ય સરકાર ધરતીપુત્રોની પડખે સતત એક પરીવારના સભ્યની જેમ ઊભી રહે છે.       ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા નક્કર કાર્ય આરંભ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતને જો પૂરતું પાણી અને વીજળી મળે તો જગત આખાની ભૂખ ભાંગવાની એનામાં ક્ષમતા હોવાનું જણાવી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, સૌની યોજના, સૂજલામ-સૂફલામ યોજનાથી રાજ્યના ખૂણે-ખૂણે પીવાનું અને સિંચાઇનું પાણી પહોચાડ્યું છે. જળ સંચય માટે હાથ ધરેલા સૂજલામ સૂફલામ જળ સંચય અભિયાનથી ૧૫ હજાર ઘન-ફુટ પાણી સંગ્રહ ક્ષમતા વધી છે. આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણના આહવાનને ગુજરાતે ઝીલ્યુ છે. તેન પરિણામે રાજ્યમાં આજ સુધીમાં ૬૬૩ અમૃત સરોવર  પૂર્ણ થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

રાજ્યના ખેડૂતોને પાણી સાથે વીજળી પણ પૂરતી મળે તે માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા હોવાની જાણકારી આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને વીજ વ્યવસ્થાપન માટે એ ગ્રેડ મળ્યો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. એટલું જ નહી પરંતુ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર છે.          સૌર ઊર્જા નીતિ બનાવનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે. સોલાર રૂફટોપના સ્થાપનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. તેવી જ રીતે  સોલાર રૂફટોપ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.       ભારતની કુલ રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત ૧૩ ટકા હિસ્સો ધરાવે છે.           ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં રીન્યુએબલ એનર્જી ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૬ ગણી વધી છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સાથે સામાજીક સેવા ક્ષેત્રોમાં પણ રાજ્ય  સરકારે ઉડીને આંખે વળગે તેવો વિકાસ કર્યો છે.  આપણા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અભિયાનને ગુજરાતે વેગપૂર્વક આગળ ધપાવ્યું છે.           આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં પહેલા ધોરણમાં પોણા છ લાખ બાળકો અને આંગણ વાડીમાં અઢી લાખ ભૂલકાંઓનો પ્રવેશ કરાવ્યો છે.

 

રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરાયું છે. 

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત અગ્રેસર હોવાનું મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માટે ૮૫૦ કરોડ રૂપિયા  ફાળવ્યા છે. રાજ્યની ૧૧ લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિમાસ અપાતી રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ પ લાખથી વધુ મહિલાઓને રાંધણગેસ કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ આપાઈ છે.

આવાસ એ માનવીની મુળ જરૂરિયાત છે ત્યારે, ગુજરાતના ગામે ગામમાં પાકા આવાસની સુવિધા મળતી થઈ છે. ગામડાના લગભગ તમામ ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા રાજ્ય સરકારે નિર્માણ કરી છે. આજે ગુજરાતના તમામ ગામોમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી ડિજિટલ સેવાઓ સુલભ બની છે. એટલુ જ નહી પરંતુ  મહેસૂલી સેવાઓ સરળ અને ઝડપી બનાવી છે.                 વર્ષો પુરાણા ૨૪ જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ નાબુદ કરીને નાગરિકોને પડતી મુશ્કેલી એક ઝાટકે દૂર  કરવાનો નિર્ણય ગુજરાતે કર્યો છે. સિટિઝન સેન્ટ્રીક સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગથી ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. સાથો સાથ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસથી સાકાર કર્યું છે. પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય બનીને ઉભરી આવ્યું હોવાનુ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાત શાંત અને સલામત રાજ્ય હોવાનું જણાવી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રિયલ પોલીસી, કૌશલ્યવાન શ્રમિકો, વીજળીની ઉપલબ્ધિ વગેરેને કારણે ગુજરાત બેસ્ટ અને સસ્ટેનેબલ સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાત દેશનું સિરામિક હબ, ડાયમંડ હબ, ફાર્માસ્યુટિકલ હબ, પેટ્રોકેમિકલ હબ, ટેક્સટાઇલ હબ, ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી- ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, સૌથી પહેલો સોલાર પાર્ક, સૌથી મોટો રોપ વે વગેરે પણ સાકાર થયા છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, બાયોટેકનોલોજી અને આઇ.ટી. પોલિસી, ડ્રોન પોલિસી, હેરીટેજ ટુરિઝમ પોલિસી, ઇલેક્ટ્રીક વિહિકલ પોલિસી જેવી વિકાસલક્ષી નીતિઓ ઘડી પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, ઇઝ ઓફ લોજિસ્ટિક- લીડ ઇન્ડેક્ષ, પીએમ ગતિ શક્તિ પ્લાન, સ્વચ્છતા અભિયાન, ઓ.ડી.એફ. રેન્કિંગ, સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ ઇન્ડેક્સ, આવા અનેક માનાંકોમાં ગુજરાત ઘણા વર્ષોથી અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે.                 દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર, હાઇબ્રીડ એનર્જી પાર્ક જેવા કંઈક મોટા વિકાસના નજરાણા દેશને આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.

                ગુજરાતમાં ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સહિતના વિકાસને જે વેગ મળ્યો છે તેના મૂળમાં સુરક્ષા, સલામતિ અને શાંતિ હોવાનું જણાવી મુખ્ય મંત્રીશ્રીએ  કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં જન સલામતી અને માર્ગ સુરક્ષા માટે  CCTV કેમેરા આધારિત વ્યવસ્થા સ્થાપી હતી.  આજે રાજ્યના ૩૪ જિલ્લા મથકો અને ૬ પ્રવાસન સ્થળો સહિત ૭ હજારથી વધુ CCTV Camera નું અભેદ નેટવર્ક ગુજરાતની જનતાની  સલામતી અને સુરક્ષા માટે સજ્જ છે.  “લાઈન નહિ, ઓન લાઈન” ના કાર્ય મંત્ર સાથે રાજ્યમાં e-FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે એમ તેમણે ઉમેર્યું હતું. .

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક વિકાસ યાત્રાના મૂળમાં શ્રી નરેન્દ્રભાઇનું છેલ્લા બે દાયકાથી ગુજરાતને સતત મળી રહેલું માર્ગદર્શન છે. છેલ્લા  20 વર્ષના  વિકાસમાં શ્રી નરેન્દ્રભાઇનો  કઠિન પરિશ્રમ દેખાય છે. શાંત, સુરક્ષિત, પ્રગતિશીલ અને સલામત ગુજરાતમાં આ જ રીતે સુરક્ષા અને શાંતિના નવા શિખરો સર કરવા પ્રતિબધ્ધ થવા તેમણે હાકલ કરી હતી.   સર્વગ્રાહી વિકાસના નીતનવા કિર્તીમાન પ્રસ્થાપિત કરવા તથા સ્વતંત્રતાનું આ પર્વ  સૌના દિલ-દિમાગમાં રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જગાવનાર બને  એવો સંકલ્પ કરવા પણ અનુરોધ કર્યો હતો .

 

મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તથા પોલીસ મહાનિર્દેશક શ્રી આશીષ ભાટીયા મુખ્યમંત્રીશ્રીને ધ્વજવંદન તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી હતી. વેલીફાયરિંગ (હર્ષધ્વની) સાથે ઉપસ્થિત જનમેદનીએ તિરંગાને દેશભાવ સાથે સલામી હતી. બાદમાં મુખ્યમંત્રીશ્રીએ ખુલી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.  તત્પશ્ચાત રંગારંગ અને દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેં વૃક્ષારોપણ કરવામાં આવ્યુંર હતુ. 

આ પ્રસંગે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર

                જિલ્લા  કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો, અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)