લઘુઉદ્યોગોના વિકાસ માટે રાજય-કેન્દ્ર સરકાર કટીબધ્ધઃ કૌશીકભાઈ પટેલ
ગુજરાતના લઘુઉદ્યોગકારોના બેંકોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બેન્કીંગ ફાયનાન્સ મીટ યોજાઈ
અમદાવાદઃ ગુજરાતના લઘુ ઉદ્યોગકારોના બેંકોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એસબીઆઈ અને સીડબીના સહયોગથી ગુજરાત રાજય લઘુ ઉદ્યોગ મહામંડળ દ્વારા બેંન્કિગ ફાયનાન્સ મીટ- ૨૦૧૮નું રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ પ્રારંભ કરી જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગોના વિકાસ તેમજ લઘુ ઉદ્યોગકારોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજય અને કેન્દ્ર સરકાર હંમેશા કટિબદ્ધ છે. રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય સહકારી સંસ્થાઓની અનેક લાભકારી યોજનાઓથી ઉદ્યોગો હરણફાળ ફરી રહ્યા છે અને રોજગારી આપી રહ્યા છે.
આ પ્રસંગે મહામંડળના પ્રમુખ અતુલ કપાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગો માટે બેન્િંકગ અને ફાયનાન્સ પાયાનો પ્રશ્ન છે. અને આ માટે રાષ્ટ્રીયકૃત બેંકોની સાથે બેંન્કિગ ફાયનાન્સ મીટના માધ્યમથી મહામંડળ લઘુ ઉદ્યોગકારો અને બેંકો વચ્ચે એક સેતુ તરીકે કાર્યરત છે અને ફાયનાન્સના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હંમેશા તત્પર છે. લઘુ ઉદ્યોગકારોના બેંન્કિગ ફાયનાન્સ અને લોનને લગતી સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલ માટે ''હેલ્પ ડેસ્ક''નું આયોજન કરવામાં આવશે. સપ્તાહમાં એક દિવસ જુદી જુદી બેંકો દ્વારા મહામંડળના કાર્યાલય ખાતે લઘુ ઉદ્યોગકારોની રજુઆતો સાંભળવામાં આવશે. આ મીટમાં ગુજરાતભારમાંથી ૩૫૦ થી પણ વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.