આણંદ નજીક ચાવડાપુરામાં વીમા પોલિસીની લાલચ આપી પાંચ શખ્સોએ 39.98લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ
આણંદ : આણંદ પાસેના ચાવડાપુરા ખાતે રહેતા એક વ્યક્તિને ઈન્સ્યોરન્સ પોલીસીના નાણા આપવાનું કહી તેમજ અન્ય કંપનીની પોલીસીમાં રોકાણ કરવા વિશ્વાસ અને ભરોસો આપી પાંચ શખ્સોએ રૂા. ૩૯.૯૮ લાખ ઉપરાંતની રકમ ભરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનો બનાવ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો છે.
આણંદ પાસેના ચાવડાપુરા ખાતે પ્રેરણા બંગલોઝમાં રહેતા માનુએલ માર્ટીનભાઈ સોલંકીને ૨૦૧૮ના ફેબુ્રઆરી માસથી તા. ૭-૯-૨૦૨૧ દરમ્યાન નેહા શર્મા, શંકરસિંહ, દિલીપ મેનેજર, રાજીવ અગ્રવાલ અને એન.કે. માજી દ્વારા એક ઈન્સ્યોરન્સ કંપનીની પોલીસીના નાણા પરત આપવાનું કહી તથા બીજી કંપનીની પોલીસીમાં નાણા રોકાણ કરવાનું કહી વિશ્વાસ અને ભરોસો કેળવી અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબર પરથી કોલ કરી તથા અલગ અલગ એકાઉન્ટમાં કુલ્લે રૂા. ૩૯,૯૮,૦૨૪ની ટ્રાન્સફર કરાવી માનુએલભાઈ સોલંકીને પાકો ભરોસો અને વિશ્વાસ આપી ભરેલા નાણાં પેટે રૂા. ૧,૮૧,૨૪,૨૧૫ મળવાપાત્ર છે તેવો ભરોસો અને વિશ્વાસ આપી વધુ નાણા ભરવા માટે પ્રલોભન આપ્યું હતું. જો કે માનુએલભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેઓએ આ અંગે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.