ગુજરાત
News of Saturday, 13th January 2018

'ગુજરાતના દરિયાકિનારે મંડરાઇ શકે છે સુનામીનો ખતરો'

૧૯૪૫માં આવેલી સુનામીને કારણે કચ્છ સહિત પશ્ચિમ ભારતના દરિયા : કિનારાના વિસ્તાર અને ઇરાન, ઓમાનમાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું

નવી દિલ્હી તા. ૧૩ : ભારતના દરેક રાજયોમાં સૌથી મોટી કોસ્ટલાઈન એટલે કે દરિયાકિનારો ગુજરાત પાસે છે. આ માટે જ ગુજરાતે સુનામી જેવી કુદરતી આફત માટે કાયમ તૈયાર રહેવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે ૨૮મી નવેમ્બર ૧૯૪૫ના રોજ પાકિસ્તાનના માકરણ કોસ્ટ(બલૂચિસ્તાન)માં ભૂકંપ આવવાને કારણે અરબ સાગરના ઉત્ત્।રભાગમાં અને હિંદ મહાસાગરમાં સુનામી આવી હતી.

સુનામીને કારણે મુંબઈ અને કચ્છમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. યુનિયન મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ અને પૂર્વ સેક્રેટરી ડોકટર શૈલેષ નાયકે જણાવ્યું કે, ૧૯૪૫માં માકરણમાં આવેલી સુનામીની અસર મુંબઈના દરિયાકિનારા સુધી પહોંચી હતી. નાયકે આગળ જણાવ્યું કે, આવી ઘટનાઓ ૧૦૦ વર્ષમાં એકવાર થાય છે. ગુજરાત સરકારે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ અને જયારે સુનામીની શકયતા હોય તેવા સમયમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે લોકોને જાગૃતિ આપવી જોઈએ.શૈલેષ નાયકના જણાવ્યા અનુસાર, લોકો સરકારની વોર્નિંગ પર વિશ્વાસ નથી કરતા અને લોકો પાસે ઘણી ઓછી માહિતી હોય છે. માટે સરકારે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવાની અત્યંત જરૂર છે. માકરણના દરિયાકિનારે બોયું મુકવામાં આવ્યું છે, જે સુનામી શરૂ થયાની ૬ મિનિટમાં વોર્નિંગ ઈશ્યુ કરશે. સરકારને આ વોર્નિંગને રિસ્પોન્સ આપવામાં ૨ કલાકનો સમય લાગી શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૯૪૫માં આવેલી સુનામીને કારણે કચ્છ સહિતના પશ્યિમ ભારતના દરિયાકિનારાના વિસ્તારો અને ઈરાન, ઓમાનમાં જાનમાલનું ઘણું નુકસાન થયુ હતું. સુનામીને કારણે વર્સોવા(અંધેરી), હાજી અલી(મહાલક્ષ્મી), જુહુ(વિલે પાર્લે) અને દાંડા(ખાર) વગેરે કોસ્ટને અસર થઈ હતી. નાયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪થી વાવાઝોડાનો ખતરો ચાર વાર મંડરાઈ ચુકયો છે. ઓખી પણ ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચી ગઈ હતી.(૨૧.૧૪)

(11:58 am IST)