સુરતના સુમુલડેરી નજીક અંબાજી દર્શન કરવા જવું પરિવારને ભારે પડ્યું: તસ્કરો તાળું તોડી 25 તોલા દાગીના સહીત રોકડ ઉઠાવી છૂમંતર....
સુરત: શહેરના સુમુલડેરી રોડ ખાતે સહયોગ સોસાયટીમાં રહેતા માળી સપરિવાર અંબાજી દર્શને ગયા હતા ત્યારે પાર્કીંગમાં આવેલી ઓફિસની બારીના છજા ઉપર ચઢી પહેલા માળે ગેલેરીમાં આવી ખોવાયેલી ચાવી વડે દરવાજા, કબાટ ખોલી તસ્કરોએ 25 તોલા સોનાના દાગીના અને રોકડ મળી રૂ.9.40 લાખની ચોરી કરી હતી. ગતરાત્રે પરત ફરેલા માળીને ચોરીની જાણ થતા મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સુમુલ ડેરી રોડ સ્થિત સહયોગ સોસાયટી ઘર નં.10 માં રહેતા અને લાલદરવાજા મેઈન રોડ હિમસન બંગલાની સામે અંબિકા ફુલઘરના નામે દુકાન ધરાવતા 59 વર્ષીય માળી મુકેશભાઈ હસમુખભાઈ માળી ગત શુક્રવારે સવારે ભાડાની ગાડી કરી સપરિવાર અંબાજી, સાળંગ પૂર,ડાકોરના દર્શને ગયા હતા. ગતરાત્રે 9 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરોએ પાર્કીંગમાં આવેલી ઓફિસની બારીના છજા ઉપર ચઢી પહેલા માળે ગેલેરીમાં આવી ખોવાયેલી ચાવી વડે દરવાજા, કબાટ ખોલી રૂ.7.50 લાખની કિંમતના 25 તોલા સોનાના દાગીના અને રોકડા રૂ.90 હજાર મળી કુલ રૂ.8.40 લાખની મત્તાની ચોરી કરી હતી. પરિવારને ચાવીનો ઝુમખો ચોરાયો કયો હતો તેની જાણ ન હતી અને તસ્કરોએ તે જ ઝુમખાંની મદદથી દરવાજા, કબાટ ખોલી ચોરી કરી હતી અને ઝુમખો બેડરૂમના દરવાજાના લોકમાં છોડીને ગયા હતા.