૨૦૨૪ ચૂંટણીમાં ભાજપ માટે મત માંગવા આવીશ ત્યારે પાંચ વર્ષનો હિસાબ પણ આપીશ : અમિતભાઈ શાહ
કાલોલનાં આદિપુર ગામે તળાવના નવી નીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું :આ ઉપરાંત ૨૬ કરોડના ૫૫ વિકાસ કામોનું લોકાર્પણ ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું
ગાંધીનગર,તા.૧૨: કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરના કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત ૨૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. નાદીપુર ગામે તળાવના ખાતમુહૂર્ત અને અન્ય લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિતભાઈ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકર્પણ કરવાના છે. જો કે, ગઈકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ૨૧૫ કરોડના ૭ કામોનું લોકાર્પણ અને ૨ કામોનું ખાતમુહૂર્ત કરી અમદાવાદને ભેટ આપી હતી. ત્યારે આજે તેઓ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા છે. જયાં તેમણે કાલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત ૨૬ કરોડના ૫૫ વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
નારદીપુર ગામમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ દર્શન આપવા નગરચર્યાએ નિકળ્યા છે. હું નસીબદાર છું કે, સવારે ૪ વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવાની મને તક મળી હતી. આજે હું નારદીપુર ગામમાં આવ્યો છું અહીં કુતરા બિલા પણ ભુખ્યા ન રહે તેની ચિંતા લોકો કરે છે. કલોલ મત વિસ્તારનું સૌથી મોટું ગામ નારદીપુર છે. હું જયારે માણસામાં હતો ત્યારે અહીં રાખડી બંધાવવા આવતો હતો.
નારદીપુરમાં રહેતા ભીખીબેન હાલ અમેરિકામાં રહે છે. તેમના હાથે રાખડી બંધાવવા માટે અહીં આવ્યો હતો. કોરોના સમય ખુબ જ કપરો રહ્યો છે. બીજી લહેરમાં કોરોના ખુબ ઝડપી વધ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ જ મહેનત કરી છે. તેમ છતાં સ્વજન ગુમાવવાનો વારો આવ્યો. જો કે, હવે કોરોનાથી કોઈનું મૃત્યુ ન થાય તેવા અમે પ્રયત્ન કરીએ છીએ. રસીકરણથી જ તે શકય બની શકે છે. સૌને રસીકરણ કરવા અપીલ કરું છું.
અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, લાલ કાર્ડવાળા પરિવારને અનાજ મળવું જોઇએ. અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ કામ કરવા અપીલ કરું છું. વિકાસના નામે ઝાડ કપાયા છે હવે આજની પેઢીએ વૃક્ષારોપણ પર ભાર મુકયો છે.