પંચાયતમાં એક જ સ્થળે ૩ વર્ષ પુરા કરનારા કર્મચારીઓની માહિતી મંગાવતી સરકાર
અગાઉ આદેશ છતા બદલી ન કરી હોય તેનું કારણ દર્શાવવા આદેશ : રાજકોટ સહિતની જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ માં તોળાતી બદલી
રાજકોટ, તા., ૧૧: રાજયના પંચાયત વિભાગની સુચના મુજબ પંચાયત ક્ષેત્રે એક જ સ્થળે ૩ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચતારીઓની માહિતી સરકારે માંગી છે. ચુંટણીને ધ્યાને રાખીને આવા કર્મચારીઓની બદલી તોળાઇ રહી છે. વિકાસ કમિશનર કચેરીએ આ અંગે દરેક જિલ્લા વિકાસ અધિકારીને ગઇકાલે પત્ર પાઠવ્યો છે.
વિકાસ કમિશનરે પત્ર સાથે જોડેલ પંચાયત વિભાગના પરિપત્રમાં જણાવાયું છે કે કર્મચારી ગણના વધુ સારા વ્યવસ્થાપન અને તેના વહીવટ માટે જયાં જયાં આવશ્યકતા હોય ત્યાં જરૃરી ફેરફારો સાથે બદલીઓ અને નિયુકતીઓના સર્વગ્રાહી માર્ગદર્શક સિધ્ધાંતો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તેમ છતા સામાન્ય વહીવટ વિભાગની બદલીઓ અને નિયુકતીઓના સર્વગ્રાહી માર્ગદર્શક સિધ્ધાંતોનો ચુસ્તણે અમલ કરવામાં આવતો નથી તેનું વિભાગના ધ્યાને આવેલ છે. જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત હેઠળના પંચાયત સેવા સંવર્ગ વર્ગ-૩ના કર્મચારીઓ કે જેઓએ એક જ જગ્યા-શાખામાં ત્રણ વર્ષ પુરા કર્યા હોય અને તેઓને અન્ય શાખા-સ્થળે બદલવામાં આવેલ ન હોય તેમજ જેઓએ એક જ સ્થળે પાંચ વર્ષની નોકરી કરેલ હોય તેઓની બદલી અન્ય તાલુકા-સ્થળે કરવામાં આવેલ ન હોય તેવા કર્મચારીઓના નામની યાદી જીલ્લાવાર સંકલીત કરી દિવસ-૩ માં (તારીખ ૧૩ જુન સુધીમાં) રૃબરૃમાં મોકલી આપવી.
રાજય સરકારની પુર્વ મંજુરી ન હોય તેવા કિસ્સાઓમાં નિવૃત કર્મચારીની થયેલ નિમણુંકોનો તાત્કાલીક અસરથી અંત લાવવા ઠરાવેલ છે તેમ છતા આવી નિમણુંકોનો અંત લાવવામાંઆવેલ ન હોય અથવા કરાર પર અથવાઆઉટ સોર્સ એજનસી મારફતે નિવૃત -કર્મચારીઓ-અધિકારીઓ જો રાખવામાં આવ્યા હોય તો પણ અનુસુચીત છે તેથી તાત્કાલીક અસરથી આવા કરાર સમાપ્ત કરી અત્રે જાણ કરવી તમ જણાવાયું છે.