ડાકોરમાં દર્શનના સમયમાં ફેરફાર, મહુડીમાં દેરાસર બંધ
કોરોનાને અનુલક્ષીને દિવાળી સંદર્ભે નિર્ણય : ડાકોરમાં એકાદશીથી બેસતા વર્ષ સુધી સમયમાં ફેરફાર, મહુડીમાં ૧૩થી ૧૯ નવેમ્બરે દર્શન બંધ રાખવા નિર્ણય
ડાકોર, તા. ૯ : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દિવાળી નિમિત્તે શ્રી રણછોડરાય મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દિવાળીના તહેવાર પ્રસંગે ભક્તોની ભારેભીડ જોવા મળે છે. જેને લઈને એકાદશીથી લઈને બેસતા વર્ષ સુધી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની શરૂઆત એકાદશીથી થાય છે ત્યારે એકાદશીથી બેસતા વર્ષ સુધી સવારના ૬.૩૦ કલાકે નિજ મંદિર ખુલશે અને ૬.૪૫ કલાકે મંગળા આરતી થશે.
સવારે ૬.૪૫થી ૯ વાગ્યા સુધી મંદિર ખુલ્લા રહેશે. ત્યારબાગ ઠાકોરજી ભોગ આરોગવા બિરાજશે. સવારે ૯.૩૦થી ૧૧.૧૫ સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૧૨ કલાકે રાજભોગ દર્શન કરી ઠાકોરજી પોઢી જશે. બપોરના ૩.૩૪ કલાકે ભક્તો માટે નિજ મંદિર ફરી ખોલવામાં આવશે. બપોરના ૪થી ૫.૨૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ૫.૪૦થી ૬.૩૦ સુધી દર્શન કરી શકાશે. સાંજે ૬.૩૦થી ૭.૧૫ સુધી ઠાકોરજી સુખડી ભોગ આરોગવા બેસશે. ૭.૧૫ કલાકે સુખડી ભોગના દર્શન ખુલી અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.
આસો વદ અમાસ એટલે કે ૧૪મી નવેમ્બરના રોજ હાટડી દર્શન થશે. સાંજે ૮ કલાકે હાટડી દર્શન ખુલી નિત્યક્રમાનુસાર સુખડી ભોગ આરોગવા બિરાજશે. તારીખ ૧૫ નવેમ્બરના રોજ બેસતું વર્ષ અને અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. ડાકોરના મંદિરનો આ સમય ફેરફાર ૧૦ નવેમ્બર ૨૦૨૦થી ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી રહેશે.
તો તરફ માણસાના પ્રખ્યાત મહુડી મંદિરને ૧૩થી૧૯ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. દિવાળીના તહેવાર ટાણે હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે. જેના કારણે સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા છે, માટે ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, કાળી ચૌદશના દિવસે યોજાનારા હવનને છૂટ આપવામાં આવી છે. કાળી ચૌદશની પૂજાનું આ મંદિરમાં આગવું મહત્વ છે. આ દિવસે સરકારની ગાઈડલાઈન્સ અનુસાર માત્ર ૨૦૦ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.