ગુજરાત
News of Friday, 10th September 2021

હોમગાર્ડે ઝઘડાથી કંટાળીને પ્રેમિકાની હત્યા કરી નાખી

રિવરફ્રન્ટ નજીક મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : જવાન અન્ય યુવતીના પ્રેમમાં પડતાં પૂર્વ પ્રેમિકાએ દસ લાખની માગણી કરી ફસાવી દેવાની ધમકી આપી હતી

અમદાવાદ, તા.૧૦ : શહેરના સાબરમતી રિવરફ્રન્ટ નજીક ૩૫ વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ રિવરફ્રન્ટ નજીક ૭ જુલાઈના રોજ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે યુવક શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

હોમગાર્ડ પરિણીત હતો અને તેનો પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાથી તે અન્ય મહિલાના પ્રેમમાં પડ્યો હતો. પ્રેમિકા પણ તેને ધકીઓ આપતી હોવાથી હોમગાર્ડ તેની પ્રેમિકાની હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ૭ જુલાઈના રોજ આંબેડકર બ્રિજથી વાસણા બેરેજ તરફ જવાના રસ્તે રોડ પર મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, મહિલાની કોઈ ભાળ ન મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મૃતક મહિલાનું નામ મનિષા હોવાનું સામે આવ્યું હતું. મનિષાની હત્યા કોણે કરી તે અંગે તપાસ શરૂ કરતા બાતમી મળી હતી કે, ઘી કાંટા રાજલક્ષ્મી કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હિતેષ શ્રીમાળીની દુકાનમાં મનિષા નોકરી કરતી હતી અને આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિતેષને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મનિષા અગાઉ હિતેષની દુકાનમાં નોકરી કરતી હતી. જેથી છેલ્લા પાંચેક વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. હિતેષની પત્ની આ અંગે જાણ થતાં ઝઘડો થયો હતો અને પત્ની ૬ મહિનાથી પિયર રહેવા જતી રહી હતી. ત્યારબાદ મનિષા અને હિતેષ વચ્ચે પણ ઝઘડાઓ થતાં હિતેષે તેની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મનિષા ઉપરાંત હિતેષ બીજી મહિલાના પ્રેમમાં પડી જતાં મનિષા હિતેષના ઘરે ગઈ હતી અને તેને ૧૦ લાખ નહીં આપે તો રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જેથી કંટાળીને હિતેષે કાસળ કાઢવા માટે ૫ જુલાઈના રોજ મનિષાને ઘરે ગયો હતો. જ્યાં તેણે મનિષાને આંટો મારવા જઈએ તેમ કહીને એક્ટિવા પર બેસાડીને લઈ ગયો હતો અને પથ્થરના ઘા ઝીંકીની તેને મોતને ઘાટ ઉતારી હતી.

(9:14 pm IST)