પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. 48 લાખના 1 કિલો સોનાનું કર્યું દાન
અંબાજી મંદિરના વહીવટદાર સુઘેન્દ્રસિંહ ચાવડાએ ભેટ આપનાર લોકોને માતાજીની ચુંદડી પહેરાવી સન્માન કર્યું
અંબાજી : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.
આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફ થી રૂ. 48 લાખની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. અંબાજી મંદિરમાં 1 કિલો સોનાની ભેટ આપવા બદલ અંબાજી મંદિરના વહીવટદાર સુઘેન્દ્રસિંહ ચાવડાએ ભેટ આપનાર લોકોને માતાજીની ચુંદડી પહેરાવી સન્માન કર્યું હતું.