18 જૂને પાવાગઢ શક્તિપીઠ નિજ મંદિર શિખર ઉપર ૪૫૦ વર્ષ બાદ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધ્વજારોહણ
નિજ મંદિરના શિખર પર સુવર્ણ ધ્વજદંડ લગાવવાની કામગીરી પૂરજોશમાં
પાવાગઢ ખાતે છેલ્લા ત્રણેક વર્ષથી ૧૩૦ કરોડના વિકાસ કાર્યો પૂર્ણ થવા તરફ છે.નિજ મંદિરના મૂળ ઢાંચાને યથાવત સ્થિતિમાં રાખી નિજ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી ચાલુ હતી. ત્રણ મજલી મંદિરનું જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થઇ ગયું છે સાથે સાથે સુવર્ણ કળશથી સુશોભિત શિખરબંધ મંદિર સદીઓ બાદ જોવા મળી રહ્યું છે. મંદિરના જિર્ણોધ્ધાર બાદ સદીઓ બાદ સુવર્ણ કળશથી સુશોભિત નિજમંદિર પર પ્રધાન મંત્રીના હસ્તે ધ્વજારોહણ થનાર છે.ધ્વજદંડ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
વડાપ્રધાન મોદી 18 જૂનના રોજ પાવાગઢ આવનાર હોવાની જાહેરાતના પગલે કેન્દ્રીય સરકારના એસપીજી સહિત રાજ્ય સરકારની ટીમોનો ધમધમાટ શરૂ થયો છે, સાથે જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વડાપ્રધાનને મંદિર સુધી પહોચાડવા વડા તળાવ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી આજે સવારે નવસારીમાં 3050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને સાજે અમદાવાદમાં બોપલ સ્થિત નવનિર્માણ બ્લિડિંગનું ઉદ્ઘાટન કરશે. 18 જૂને ફરી પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવશે.