સરકારી સ્કૂલો હવે સંશાધનોથી સજ્જ થશે : રૂપાણીની ખાતરી
શિક્ષણ વિભાગની સામૂહિક ચિંતન શિબિર યોજાઈઃ સંશાધનો, નાણા ફાળવણી, માનવ બળની સંપૂર્ણ સજ્જતા સાથે સરકારી સ્કૂલ ખાનગી સ્કૂ
અમદાવાદ,તા. ૯, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રાથમિક-માધ્યમિક સહિત શિક્ષણ ક્ષેત્રની આમૂલ ગુણવત્તા સુધારણાની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સંસાધનો, નાણાં ફાળવણી માનવબળની સંપૂર્ણ સજ્જતાનો સુચારુ ઉપયોગ કરીને સરકારી શાળાઓને પણ ખાનગી શાળાઓ, એસએફઆઈ સાથે બરોબરીની સ્પર્ધા કરી શકે તેવી બનાવવા રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા શિક્ષણાધિકારીઓ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની એક દિવસીય ચિંતન શિબિરનું સમાપન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ માતૃભાષાનું મહાત્મ્ય પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે આગામી શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો પણ સંકેત આપ્યો હતો. મુખ્યમંત્રીએ ભવિષ્યના ભારતના સુદૃઢ નાગરિકો-સક્ષમ રાષ્ટ્રના નિર્માણની જવાબદારી જેમના ખભા પર છે એવા શિક્ષણ વિભાગના ખુલ્લા મને આ સમૂહ ચિંતન પ્રયોગને અભિનંદનીય ગણાવ્યો હતો. વિજય રૃપાણીએ રાજ્યમાં ૧૦૦ ટકા શાળા નામાંકન અને શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતુંકે, શિક્ષકો, અમલીકરણ અધિકારીઓને આ માટે સંપૂર્ણ સહયોગ સરકાર આપશે જ. તેમણે શિક્ષણના વ્યવસાયને નોબલ પ્રોફેશન ગણાવતા ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દર વર્ષે આશરે ૨૫ હજાર કરોડ રૃપિયા શિક્ષણ માટે ફાળવે છે. ગરીબ, વંચિત, શોષિત, શ્રમજીવી વર્ગોના મળીને કુલ ૮૦ લાખથી વધુ બાળકો ૩૪ હજાર સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવે છે અને ૩ લાખથી વધુ શિક્ષકો કર્મચારીઓ શિક્ષણ યજ્ઞમાં જોડાયા છે. વિજય રૃપાણીએ કહ્યું કે, ભારતના આ ભાવિને સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધારીને ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અવ્વલ બની શકે તેમ છે.