ગુજરાત
News of Thursday, 9th February 2023

વિરમગામ તાલુકાનું સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 22 ફેબ્રુઆરીએ યોજાશે

વિરમગામના તાલુકા કક્ષાના પ્રશ્નો તથા ફરિયાદ તારીખ 14 ફેબ્રુઆરી સુધી કચેરીને પહોંચતા કરવા સૂચન

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી, વિરમગામની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર વિરમગામ તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨/૦૨/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ તા.૧૪/૦૨/૨૦૨૩ સુધીમાં આ કચેરીને પહોચતા કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે. અરજીમાં મથાળે 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' લખવાનું રહેશે..
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે.
આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક બાબતની રજૂઆત કરી શકાશે નહીં. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.

 

(5:10 pm IST)