મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ' સ્કીમ જાહેર કરી
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જાહેર કરી હતી.
તેમણે આયાત પર નિર્ભરતા ઘટાડવા સાથે ઊર્જા સ્વનિર્ભરતા વધારવાનો અને કોરોના મહામારી પછીના સમયમાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન બનાવવાનો ધ્યેય રાખ્યો છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ તકનો લાભ લઇને ગુજરાત પણ ઉદ્યોગોને આકર્ષી સ્થાનિક ઉત્પાદનોને સહયોગ પૂરો પાડીને રોજગાર અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તેવો આ સ્કીમ્સનો મૂળ આશય છે. મુખ્યમંત્રીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત ઊદ્યમીતા અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિ છે. દેશનું મેન્યૂફેકચરીંગ હબ છે.
ગુજરાત આવી અપાર ક્ષમતાઓને પરિણામે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં આત્મનિર્ભર ગુજરાતથી લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ વિઝનને પાર પાડવા આવનારા વર્ષોમાં દેશમાં વ્યૂહાત્મક અને થ્રસ્ટ એરિયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝને જે વિશેષ સહાય-મદદ આવશ્યક છે તે પુરી પાડવામાં આ સ્કીમ્સ ઉપયોગી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોપ-26 Cop-26 સમિટમાં ‘પંચામૃત’નો વિચાર આપ્યો છે. આ વિચારને સુસંગત રહીને ઉદ્યોગોને કલીનર મેન્યૂફેક્ચરીંગ પ્રેક્ટીસીસ અને ડી કાર્બનાઇઝેશન ઇનીશ્યેટીવ અપનાવી વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવા પણ આ સ્કીમ્સ જરૂરી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું
આ ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ સ્કીમ્સ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે.
એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે. આ ઉપરાંત રાજ્યમાં ન્યૂ મેન્યૂફેકચરીંગ સેક્ટરનો વિકાસ થવાથી તેને આનુષાંગિક નાના-મોટા ઉદ્યોગોની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થશે જે મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગ્લોબલ એક્ઝામ્પલ બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝમાં MSME સેક્ટરને જે પ્રોત્સાહનો અપાવાના છે તેની ભૂમિકા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી હતી. તેમણે કહ્યું કે, દેશના મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના ૩૩ લાખ જેટલા MSME નું છે.