ગુજરાત
News of Friday, 5th March 2021

રાજ્યમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડતા તાકિદે કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં

સુરત, વડોદરા અને રાજકોટ સહિત કુલ ૧૮ સ્ટુડન્ટ કોરોના સંક્રમીત કેન્દ્રીય ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

અમદાવાદ,તા.૫:  સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંકટ દ્યેરું બની રહ્યું છે, રાજયમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમને ગુજરાત મોકલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્રીય ટીમ વડોદરાની મુલાકાતે પહોંચી છે. હાલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કેટલીક ક્ષતીઓ સામે આવતા દૂર કરવાના આદેશ પણ કર્યા હતા.

તો કેન્દ્રની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરી કોરોનાની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે વડોદરામાં કોરોનાના ૪૮ કેસ પોઝિટિવ આવ્યા હતા. તો આજે પણ સુરતમાં નાના વરાછાની શાળાના ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. ધોરણ ૭ના ૫ વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા છે. જેને પરિણામે પ્રાથમિક વિભાગ ૧૪ દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કુલના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ૩ વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરાઇ છે. ગોત્રી વિસ્તારમાં આવી છે આનંદ વિધા વિહાર શાળામાં વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે.

રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મેડિકલ કોલેજના ૧૦ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત સામે આવતા શિક્ષણકાર્ય ઓનલાઇન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા તત્કાલીન બેઠક બોલવાઈ હતી અને વિદ્યાર્થીઓને તત્કાલીન વેકિસન આપવાની કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે. ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે શહેરમાં કોરોનાના ૧૧૭ કેસ નોંધાયા છે. ગોતા, બોડકદેવ, થલતેજ, જોધપુર વિસ્તારમાં કેસ વધ્યા છે. નવા ૮૬ દ્યરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે અને આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરાશે.

એક દિવસમાં રાજયમાં કોરોનાના નવા ૪૭૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી ૩૫૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે રાજયમાં કોરોનાથી એક દિવસમાં ૧નું મૃત્યુ થયુ છે. ગુજરાતમાં કોરોનાના એકટીવ કેસ ૨ હજાર ૬૩૮ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૨ લાખ ૭૧ હજાર ૨૪૫ નોંધાયા છે. રાજયમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪ હજાર ૪૧૨ થયો છે. રાજયમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૨ લાખ ૬૪ હજાર ૧૯૫ છે.

(1:04 pm IST)