ઇડરમાં અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપવા પોલીસ તંત્ર ઊંધે માથે થયું
ઈડર: શહેરમાં અસ્થિર મગજની મહિલા પર બળાત્કાર તથા સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય આચરવાની ઘટના સામે આવ્યા બાદ જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતું થયું છે. મોડી રાત્રે આ ઘટના બાબતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધ્યા બાદ શુક્રવારે સવારે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત કરી, આવું અધમ કૃત્ય આચરનાર નરાધમને તાકિદે ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસને સુચના આપી હતી.શહેરના દામોદર વિસ્તારમાં દુકાનોનાં બાંકડા પર બેસી રહેતી અસ્થિર મગજની મહિલા ગુરૂવારે સવારે જલારામ મંદિર સામે આવેલ ખુલ્લા પ્લોટમાંથી ભારે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ મહિલાને ઈડરની સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોઇ વધુ પરિક્ષણ માટે હિંમતનગર સિવિલમાં મોકલી અપાઇ હતી. જેમાં સારવાર કરનાર તબિબે દુષ્કર્મ ઉપરાંત સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય આચરાયાની આશંકા દર્શાવતાં, આખરે જિલ્લા પોલીસ વડાની સુચના બાદ ઈડર પોલીસે ગુરૂવારે મોડીરાત્રે અજાણ્યા ઈસમ સામે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચાડી દુષ્કર્મ તથા સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ શુક્રવાર સવારથી જ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો નરાધમને શોધવા કામે લાગી ગઇ હતી. પોલીસે દામોદરથી જલારામ મંદિર સુધીના સી.સી. ટીવી ફુટેજ મેળવી તેની ચકાસણી હાથ ધરી છે. ઉપરાંત ફોનડેટા મેળવવા નિષ્ણાતો કામે લાગી ગયા છે.