ગુજરાત
News of Thursday, 4th January 2018

એમજેમાં વાંચકો-લોકોને ટૂંકા વસ્ત્રની સાથે જવા પર પ્રતિબંધ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કઠોર નિર્ણય અમલી કરાયોઃ ટૂંકા વસ્ત્રમાં આવતા વાંચકો પુસ્તકાલયની ગરીમા ઓછી કરે છે : ગ્રંથપાલ :નિયમિત મુલાકાતે આવતા લોકો ખફા

અમદાવાદ, તા.૪, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા શરૂ કરાવવામાં આવેલી શહેરના એલિસબ્રિજ વિસ્તારની પ્રતિષ્ઠીત એવી એમ.જે.લાયબ્રેરીમાં ટૂંકાવસ્ત્રો સાથે જવા ઉપર વાંચકો સાથે પ્રતિબંધ મુકવામાં આવતા આ મામલે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે.આ અંગે ગ્રંથપાલનું કહેવું છે કે,આ પ્રકારે વસ્ત્રો પહેરીને આવતા વાંચકો પુસ્તકાલયની ગરીમાને હાનિ પહોંચાડી રહ્યા હોઈ આ પ્રકારે વસ્ત્રો પહેરીને આવતા લોકોને નોટિસ પણ આપવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં અમદાવાદ શહેરની સૌથી જુની અને પ્રતિષ્ઠીત એવી શેઠ માણેકલાલ જેઠાભાઈ લાયબ્રેરી આવેલી છે આ લાયબ્રેરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા અમદાવાદના લોકો માટે શરૂ કરાવવામાં આવી હતી.લાયબ્રેરી તેની સ્થાપનાના ૭૫ થી પણ વધુ વર્ષો પુરા કરી ચુકી છે આ પરિસ્થિતિમાં લાયબ્રેરી સત્તાવાળાઓ દ્વારા અચાનક જ એક એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને પુસ્તકાલયમાં નિયમિત આવતા વાંચકો અને મુલાકાતીઓમાં આ નિર્ણયથી ઉગ્ર રોષ અને નારાજગી પણ ફેલાવા પામી છે.આ અંગે પુસ્તકાલયમાં નિયમિત વાંચક તરીકે જવાવાળા વાંચકોમાંથી મળેલી પ્રતિક્રીયામાં કહેવામાં આવ્યુ છે કે,પુસ્તકાલય સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે ખરેખર તો નોટિસબોર્ડ ઉપર નોંધ મુકવી જોઈએ પરંતુ તેમ કરવામાં આવ્યુ નથી.આ સાથે જ એક અન્ય વાંચકનુ કહેવુ છે કે,પુસ્તકાલયમાં વાંચકો વાંચન અને રિસર્ચ માટે આવતા હોઈ કોઈની પાસે એવો સમય પણ હોતો નથી કે,કોણે કેવા વસ્ત્રો પહેર્યા છે આમ છતાં સત્તાવાળાઓએ મનસ્વીપણે આ નિર્ણય લઈને નિયમિત પુસ્તકાલયમાં આવતા વાંચકોને માટે પુસ્તકાલયમાં પ્રવેશ બંધ કરવા માટે નિર્ણય કર્યો હોય એમ લાગી રહ્યુ છે.આ મામલે પુસ્તકાલયના ગ્રંથપાલ બિપીન મોદીની મળેલી પ્રતિક્રીયા મુજબ,આ પ્રકારે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા વાંચકોને કારણે પુસ્તકાલયની ગરીમાને હાનિ પહોંચી રહી છે.પુસ્તકાલયમાં સમાજના અનેક પ્રકારના વાંચકો નિયમિત આવે છે જેમાં યુવતીઓ અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ પરિસ્થિતિમાં સંસ્કારોનુ સતત સિંચન કરી રહેલા ગૌરવસમાન પુસ્તકાલયમાં આ પ્રકારે ટૂંકા વસ્ત્રો સાથે આવતા વાંચકોને કદાપી  ચલાવી ન લેવાય આ મામલે ટૂંકસમયમાં જ પુસ્તકાલયના નોટિસબોર્ડ ઉપર પણ નોટિસ મુકવામા આવશે.હાલ આ પ્રમાણે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા વાંચકોને વ્યકિતગત નોટિસ અપાઈ છે.

(9:58 pm IST)