ગુજરાત
News of Wednesday, 3rd January 2018

એએમટીએસનું નિરાશાજનક બજેટ : માત્ર ૭૫૦ બસ દોડશે

એએમટીએસનું ૫૦૮.૧૭ કરોડનુ અંદાજપત્ર : ગત વર્ષ કરતા બજેટમાં કુલ રૃપિયા ૧૭ કરોડનો ઘટાડો કરાયો : એએમટીએસ હવે ખાનગી ઓપરેટરોના હવાલે

અમદાવાદ, તા.૩ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટનું આજરોજ વર્ષ-૨૦૧૮-૧૯ માટે રૃપિયા ૫૦૮.૧૭ કરોડનુ વાર્ષિક અંદાજપત્ર ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે જેમાં ગત વર્ષ કરતા બજેટની રકમમાં રૃપિયા ૧૭ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સાથે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં પણ તંત્રે પાછા પગ થયા છે.આમ અમદાવાદના નાગરિકો માટે એએમટીએસ દ્વારા નવા નાણાંકીય વર્ષનું બજેટ નિરાશાજનક પુરવાર થશે.એએમટીએસનો યુગ પુરો થયો હોય એમ નવા વર્ષમાં એએમટીએસની ઓનરોડ ૧૫૦ બસો દોડશે જયારે ખાનગી ઓપરેટરોની ૬૦૦ બસો મળી કુલ ૭૫૦ બસો દોડાવવામાં આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા એએમટીએસનું વર્ષ-૨૦૧૮-૧૯ માટેનું વાર્ષિક અંદાજપત્ર રૃપિયા ૫૦૮.૧૭ કરોડનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ તે સમયે અમદાવાદ શહેરના ગીચ વિસ્તારોમાં ચીફ મિનિસ્ટર અર્બન સર્વિસ સ્કીમ અંતર્ગત વધુ મીડી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું કહેવામાં આવ્યુ છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એએમટીએસના ડેપો અને ટર્મિનસને અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ગત વર્ષે વર્ષ-૨૦૧૭-૧૮ માટે રૃપિયા ૫૨૫.૧૮ કરોડનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ ઉપરાંત એ સમયે અમદાવાદ શહેરના વિવિધ માર્ગો અને રૃટ પર કુલ મળીને ૮૫૦ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.આ સાથે જ ત્રણેક વર્ષ અગાઉ સત્તાવાળાઓ તરફથી અમદાવાદ શહેરના વિવિધ માર્ગો ઉપર ૧,૦૦૦ જેટલી બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેમાં પણ ટ્રાન્સપોર્ટ મેનેજર પાણીમાં બેસી જતા નવા વર્ષમાં એએમટીએસ દ્વારા વિવિધ રૃટો ઉપર માત્ર ૭૫૦ જેટલી બસો જ દોડતી જોવા મળશે.અમદાવાદ શહેરના છેવાડે આવેલા વિસ્તારો જેવા કે રાણીપ,કૃષ્ણનગર,નારોલ-શાહવાડી,સરખેજ વગેરે સ્થળોથી એસટીની બસોમાં ઉતરતા મુસાફરોને અમદાવાદના આંતરીક વિસ્તારોમાં પહોંચવા માટે બસ સુવિધા વધારવામાં આવશે એમ કહેવાયુ છે.આ ઉપરાંત આ વર્ષમાં લાલદરવાજા ટર્મિનસ અને સાબરમતી અચેર ડેપોના આધુનિક બનાવવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત બીઆરટીએસ માટે તૈયાર કરવામા આવેલી મોબાઈલએપ ટૂંકસમયમાં કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.૩૩૬ જેટલી બસોમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે બાકીની બસોમાં આ વર્ષમાં કાર્યરત કરવામાં આવશે.આ સાથે ઓટોમેટીક ફેર કલેકશન સોફટવેર તૈયાર કરવામા આવી રહ્યુ છે. બીઆરટીએસની જેમ એએમટીએસમાં સ્માર્ટકાર્ડ બનાવાશે.

 

એએમટીએસ લોન પર

અમદાવાદ, તા.૩ :એએમટીએસ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી લોન ના સહારે ચલાવવામા આવી રહી છે.આ કારણોસર એએમટીએસને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામા આવતી લોનનુ દેવુ પણ ઘણુ વધી જવા પામ્યું છે.એએમટીએસને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી લોનની વિગત આ મુજબ છે.

વર્ષ................................................. રકમ (લાખમાં)

૨૦૧૩-૧૪.......................................... ૨૦૯૫૪.૧૫

૨૦૧૪-૧૫.......................................... ૨૪૫૪૨.૯૧

૨૦૧૫-૧૬.......................................... ૨૯૧૯૫.૫૪

૨૦૧૬-૧૭.......................................... ૩૦૩૭૫.૦૦

૨૦૧૭-૧૮.......................................... ૩૧૯૦૦.૦૦

૨૦૧૮-૧૯.......................................... ૩૫૫૦૦.૦૦

 

બજેટની સાથે સાથે.....

અમદાવાદ, તા.૩

     રૃપિયા ૪૯૮.૧૦ કરોડ રેવન્યુ બજેટ અને ૧૦.૦૭ કરોડ કેપીટલ બજેટ સાથે કુલ રૃપિયા ૫૦૮.૧૭ કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરાયું.

     નવા વર્ષમાં એએમટીએસની રોડ પર માત્ર ૧૫૦ બસો દોડશે જયારે ખાનગી ઓપરેટરોની ૬૦૦ બસો મળી કુલ ૭૫૦ જેટલી બસો દોડાવાશે

     કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થા પાછળ કુલ રૃપિયા ૧૪૩.૦૮ કરોડની રકમનો ખર્ચ કરાશે.

 

(8:24 pm IST)