ગુજરાત
News of Wednesday, 3rd January 2018

સાબરડેરી-તલોદ રોડ પર પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાંકડા પર બેઠેલ બે મજુર પરિવારને હડફેટે લેતા બે બાળકો મોતને ભેટ્યા

હિંમતનગર:સાબરડેરી-તલોદ રોડ પર આવેલા ગઢોડા પાટીયા પાસે મંગળવારે બપોરના સુમારે તલોદથી હિંમતનગર આવી રહેલ એક કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી રોડની સાઈડમાં બાંકડા પર બેઠેલા મજુર પરીવારને હડફેટે લેતા બે બાળકોના ગંભીર ઈજાને કારણે મોત નિપજયા હતા. તેમજ આ બાળકોના માતા-પિતાને ઈજા થતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા.

આ અંગે એ-ડીવીઝન પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે અમદાવાદથી તલોદ થઈ હિંમતનગર આવી રહેલ એક કારમાં નિકુંજ પટેલ, મુકેશ ઠાકોર, મહેશ ઠકોર અને અલ્પેશ પરમાર આવી રહયા હતા દરમ્યાન કારના ચાલક અલ્પેશ પરમારે ગઢોડા પાટીયા પાસેથી કાર હંકારી રહયા હતા ત્યારે અચાનક કારને ગફલતભરી રીતે ચલાવી રોડની સાઈડમાં બાંકડા પર બેઠેલા મજુર પરીવારને હડફેટે લીધો હતો. જેના કારણે બાંકડા પર બેઠેલ કરીના અગારી (ઉ.વ.૭) અને રોશન અગારી (ઉ.વ.૪) ને ગંભીર ઈજા થતા બન્ને બાળકોના મોત નિપજયા હતા.

ઉપરાંત લક્ષ્મીબેન ચંદુભાઈ અગારી, નકુલ અગારી (ઉ.વ.૮) અને રવિ અગારી (ઉ.વ.૩) ને પણ ઈજા થતા તેમને તાબડતોબ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના કોટડા ગઢી તાલુકાના ખોખરા ગામના ચંદુભાઈ ગુજરાભાઈ અગારી ગઢોડામાં એક પટેલને ત્યાં મજુરી કરતા હતા ત્યારે આ પરિવારને બાંકડા પર બેસાડી પટેલના ઘરે પૈસા લેવા માટે ગયા હતા ત્યારે રોડ પરથી પસાર થતી કાર પરીવારને અડફેટે લીધો હતો આ અકસ્માત દરમિયાન કારના ચાલક અલ્પેશ પરમારે કારને બાળકો સાથે અથડાવી પેટ્રોલ પંપની દિવાલે જઈને અથડાતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના અંગે એ-ડીવીઝન પોલીસે કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:26 pm IST)