ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં થતી ભીડ મુદ્દે સરકાર લઇ શકે છે આકરો નિર્ણય
કેટરીંગ સર્વિસ સંચાલકો સહિત રસોઇ કોન્ટ્રાકટર, બેન્ડવાજાવાળાઓની પણ જવાબદારી નક્કી કરાશે ?
ગાંધીનગર તા. ૩ : ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજયમાં બીજી તરફ લગ્નની સીઝન શરુ થઇ ગઇ છે. આમ કોરોનાકાળમાં લગ્નમાં થતી ભીડને લઇને સરકારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. ત્યારે રાજયમાં લગ્નપ્રસંગોમાં થતી ભીડ મુદ્દે સરકાર આકરો નિર્ણય લે તેવી શકયતા છે.
રાજય સરકાર નિયત સંખ્યા કરતા વધુ લોકો એકઠા થવા મુદ્દે આકરી કાર્યવાહી કરી શકે છે. સરકાર કેટરિંગ સર્વિસ સંચાલકો સહિત રસોઇ કોન્ટ્રાકટર, બેન્ડવાજાવાળાઓની પણ જવાબદારી નક્કી કરાશે.
જો નિયત સંખ્યા કરતાં વધુ લોકો એકઠા થાય તો સરકારને અગાઉથી જાણ કરવાની રહેશે, જો કે સરકાર કે તંત્રને જાણ નહીં કરાય તો આકરી કાર્યવાહી કરાશે.
હાલ સુરત ખાતે એક લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ અને કેટરિંગ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહાપાલિકા દ્વારા લગ્નસ્થળે કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.