સુરતના સચિન-કનસાડની જમીન વેચી બીજી વાર 80 લાખ પડાવી લેનાર મૂળ માલિક સહીત પિતા-પુત્ર વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ
સુરત: શહેરના સચિન-કનસાડની જમીનનો એક વખત વેચાણ કર્યા બાદ બીજી વખત વેચાણ કરી 80 લાખ પડાવી લેવા ઉપરાંત સેટલમેન્ટ કરાવવાના બહાને 1 કરોડથી વધુની માંગણી કરનાર જમીનના મૂળ માલિક પિતા-પુત્ર અને ભત્રીજા વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે.
મુંબઇ-થાણેની વિહાંગ વિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી કમલેશ બાલચંદ દેસાઇ વર્ષ 2012માં સચિન-કનસાડ ગામના રેવન્યુ સર્વે નં. 882 ના બ્લોક નં. 787 વાળી જમીન તેના મૂળ માલિક મોહન રણછોડ નાયક, તેના પુત્ર નિલય નાયક અને ભત્રીજા પ્રકાશ બળવંત નાયક (ત્રણેય રહે. બ્રાહ્મણ ફળીયું, કનસાડ) પાસેથી પત્ની શિલ્પા વોરાના નામે 80 લાખમાં ખરીદી હતી.
ગત દિવાળીના સમયે કમલેશ ઉપરોકત જમીન જોવા ગયા ત્યારે જમીન પર વિજયસિંહ ખુમાનસિંહ ગોહિલ (બાપુ) નો કબ્જો હતો. જમીન પર કબ્જો કરનાર મહેન્દ્ર નામના વ્યક્તિએ આ જમીન મોહનભાઇના પુત્ર નિલય નાયકે જુન 2002માં વિજયસિંહને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે એવું કમલેશને કહેતા તે ચોંકી ગયો હતો. જેથી કમલેશે નિલય અને પ્રકાશનો સંર્પક કરતા વિજયસિંહને જમીન વેચી નથી અને અમે હાથ ઉછીની રકમ લીધી હતી અને રકમ પરત કરી આપવાનું લખાણ કરી આપ્યું છે પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નથી.