વડોદરા:જમીન પર ગેરકાયદે કબ્જો જમાવનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: સરદાર સરોવર નિગમ તરફથી ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદે કબજો જમાવી દેનાર બે વ્યક્તિઓ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
સંખેડા તાલુકાના ગોલા ગામડીમાં રહેતા ખજાનભાઇ ચુપાભાઇ ભીલાલા ખેતી કામ કરે છે.વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે,મને તથા મારા મોટા ભાઇ શંકરભાઇને સરદાર સરોવર નિગમ તરફથી વાઘોડિયા તાલુકાના તરસા ગામે ૧૮ વીંઘા જમીન ફાળવવામાં આવી હતી.મારા મોટા ભાઇ શંકરભાઇનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું છે.સરદાર સરોવર નિગમ તરફથી અમને કબજા પાવતી પણ આપવામાં આવી છે.પરંતુ,(૧) રામા છનીયાભાઇ પાવરા તથા (૨) ભીખા આબલાભાઇ પાવરા (રહે.ખેરવાડી, તા.વાઘોડિયા) દ્વારા અમને નિગમ તરફથી ફાળવવામાં આવેલી જમીન પર ખેતી કરવા દેવામાં આવતી નથી.અને આ જમીન મારી છે, તેવું કહીને મારી તેમજ મારા ભાઇની જમીન પર ગેરકાયદે કબજો કરી દીધો છે.તેઓ અમારી સાથે તકરાર કરીને કહે છે કે, અમે એ.સી.ભારતવાળા છીએ સરકાર કે સરકારના કાયદામાં માનતા નથી.