ગુજરાત
News of Saturday, 2nd July 2022

“ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી”ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે કૃષિ ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં I- ખેડૂત પોર્ટલ કાર્યરત : રાજ્યના તમામ ખેડૂતો માટે ઓનલાઈન એપ્લિકેશન માટેની સિસ્ટમ

વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે અને આંગળીના ટેરવે ઉપલબ્ધ : I- ખેડૂત પોર્ટલ દ્વારા કુલ ૬૧.૮૨ લાખ ખેડૂતોને ૫૧૦૭.૯૪ કરોડની સબસિડી અપાઈ : ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ ૨૦૧૯થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. ૧૧,૫૧૦.૦૬ કરોડ બેન્ક એકાઉન્ટમાં ચુકવણી થઈ

રાજકોટ તા.૨ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિ઼જિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે અનેક પહેલ હાથ ધરીને રાજ્યના નાગરિકોની સરળતા માટે મોટાભાગની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી દીધી છે. રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજારભાવની માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ “I- ખેડૂત પોર્ટલ” ઉપલબ્ધ બનાવ્યું છે. “ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી”ની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય પાલન, જમીન અને જળ સંરક્ષણ સહિતની તમામ યોજનાઓની માહિતી અને સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થવાથી ખેડુતો લાભાન્વીત થઈ રહ્યા છે.
 
I- ખેડૂત પોર્ટલમાં વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી કુલ ૧૬૨.૧૫ લાખ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે અને જેના પર કાર્યવાહી કરી ૬૧.૮૨ લાખ ખેડુતોને રૂ. ૫૧૦૭.૯૪ કરોડ સબસીડીની સહાય વિતરણની કાર્યવાહી કરવામાં આવેલ છે 
 
રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ શરુ કરેલ છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમાં ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા I- ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત છે.
 
ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ ૨૦૧૯થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળે છે, જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવાય છે. 
 
જે પૈકી ૬૨.૩૭ લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, ૬૨.૨૩ લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, ૬૧.૫૯ લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, ૫૮.૬૧ લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, ૫૭.૩૩ લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, ૫૫.૧૭ લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો, ૫૨.૫૩ લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો, ૪૯.૧૯ લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો, ૪૫.૨૧  લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો ૪૨.૮૩ લાખ ખેડૂત પરિવારોને દશમો હપ્તો અને ૨૮.૩૬ લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચુકવવામાં આવેલ છે.આ તમામ હપ્તાની રકમ મળી રાજ્યના લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. ૧૧,૫૧૦.૦૬ કરોડ તેમના બેન્ક એકાઉન્ટમાં ચુકવણી થઈ છે.          
 
આમ સરકારના સતત પ્રયત્નોના કારણે આજે જગતનો તાત સક્ષમ બનીને પોતાના પાકની સારી આવક મેળવી રહ્યો છે અને ડીજીટલી પણ શિક્ષીત થવાથી પોતાની ખેતી માટે બીજા કોઈની પરની નિર્ભરતા ઘટીને દરેક માહિતી મેળવવા માટે આત્મનિર્ભર બન્યો છે.અનેક યોજનાઓના કારણે આજે ખેડૂત ખુશખુશાલ બન્યો છે.
 

 

 

(3:58 pm IST)