ભાજપનાં કયાં ૧૧ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલને ટેકો આપતાં ભાજપ હાઇકમાન્ડે ઝુકવું પડ્યું ?
ABP અસ્મિતાનો સનસની ખેજ અહેવાલ
નવી દિલ્હી તા.૨ : ગુજરાતમાં ખાતાની ફાળવણીથી નારાજ નીતિન પટેલ સામે ભાજપ હાઈકમાન્ડે ઘુંટણ ટેકવ્યા અને નાણાં ખાતું આપ્યું, તેના કારણે આશ્યર્ય ફેલાયું છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી આ પ્રકારના રાજકીય બ્લેકમેલિંગને તાબે થતાં નથી, ત્યારે તેમણે નીતિન પટેલની માગણી કેમ સ્વીકારી તે સવાલ રાજકીય વર્તુળોમાં પૂછાઇ રહ્યો છે.
ભાજપના જ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલની માંગણી સ્વીકારી તે પછાળ પાટીદાર પાવર જવાબદાર છે. નીતિન પટેલે ભાજપ હાઇકમાન્ડ સામે શિંગડા ભેરવતા પહેલા બરાબર હોમવર્ક કર્યું હતું અને ભાજપના પાટીદાર ધારાસભ્યોમાંથી ૧૧ ધારાસભ્યોનો સંપર્ક કરી લીધો હતો.
આ ૧૧ ધારાસભ્યોએ નીતિન પટેલને સંપૂર્ણ ટેકો જાહેર કરીને જે પગલા ભરવા હોય તે ભરવા છૂટ આપી હતી. ભાજપ પાસે માત્ર સાત ધારાસભ્યોની પાતળી બહુમતી છે, ત્યારે આ રીતે એકસાથે ૧૧ પાટીદાર ધારાસભ્યો બગાવત કરે તો ભાજપની હાલત બગડી જાય તેથી નીતિન પટેલની માગણી સ્વીકારવામાં ભાજપે સાણપણ સમજયું.
નીતિન પટેલને સમર્થન આપનારા પાટીદાર ધારાસભ્યોમાં ઋષિકેશ પટેલ (વિસનગર), રમણભાઈ પટેલ (વીજાપુર), ભુપેન્દ્રભાઈ પટેલ (ઘાટલોડિયા), બાબુભાઈ જમનાદાસ પટેલ (દસક્રોઇ), વલ્લભ કાકડિયા (ઠક્કરબાપાનગર), હસમુખભાઈ પટેલ (અમરાઇવાડી), સુરેશ પટેલ (મણિનગર), અનિલકુમાર પટેલ (સાબરમતી), ગોવિંદ પટેલ (રાજકોટ દક્ષિણ), કેશુભાઈ નાકારણી (ગારિયાધાર) અને યોગેશ પટેલ (માંજલપુર) હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.
વિજય રૂપાણી સરકારે શપથ લીધા પછી ત્રણ ત્રણ દિવસ સુધી ખાતાઓની વહેંચણી થઈ શકી નહોતી અને ત્રીજા દિવસે મોડી રાતે ખાતાઓની વહેંચણી થતાં નીતિન પટેલને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવતાં તેઓ નારાજ થઈ ગયા હતા. કેબિનેટ પછી રૂપાણીએ પત્રકારોને બ્રિફિંગ કર્યું હતું. જોકે, નીતિન પટેલે હાથ જોડીને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.
નીતિન પટેલે મીડિયા સામે તો મૌન ધારણ કરી લીધું હતું, પરંતુ હાઇકમાન્ડ સુધી પોતે ખાતાની ફાળવણીને લઈને નારાજ હોવાના સમાચાર પહોંચાડ્યા હતા. આ પછી તેમના સમર્થકો અને ભાજપના નેતાઓ મળવા દોડી આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ, પૂર્વ મંત્રી નરોત્ત્।મ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ જમના પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ મુલાકાત કરી હતી અને તેમને મનાવ્યા હતા.
જોકે, નીતિન પટેલ માન્યા નહોતા. દરમિયાન કોંગ્રેસ તરફથી તેમને દસ ધારાસભ્યો સાથે સરકાર બનાવવાની ઓફર આપવામાં આવી હતી. એટલું જ નહીં, હાર્દિક પટેલે પણ આમા ઝંપલાવ્યું હતું અને તેઓ તેમની સાથે હોવાનું અને તેઓ કોંગ્રેસને વાત કરશે, તેમ પણ જણાવ્યું હતું.
અંતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરીને ખાતરી આપતાં નીતિન પટેલે ચાર્જ લીધો હતો. આ પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને નાણાં ખાતું પરત આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ભાજપે જ મને મોટો બનાવ્યો છે અને હું ભાજપમાં જ રહીશ, તેમ જણાવ્યું હતું.