વડોદરા:કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડી નજીક લઘુશંકા કરવા ઉભેલ યુવકને આંતરી ચાર શખ્સોએ લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરની કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલા સિદ્ધેશ્વર મોલ નજીક લઘુશંકા કરવા ઉભેલા યુવકને ચાર શખ્સોએ આંતરી મારી નાખવાની ધમકી આપી ચાંદીનું કડું રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહિત 8 હજારની મત્તા બળજબરીથી ઝૂંટવી લઈ નાસી છૂટવાનો બનાવો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. પાણીગેટ પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાત તાલુકાના પતરીયા પુરા ગામે રહેતા 35 વર્ષીય કવાભાઈ ડાહ્યાભાઈ ભરવાડ પશુપાલનનો ધંધો કરે છે. તેઓની વડોદરાના પાણીગેટ ખાતે સાસરી આવેલી છે જેથી તેઓ પત્નીને તેડવા માટે નીકળ્યા હતા આ દરમિયાન તેઓ વાઘોડિયા થી કપુરાઈ ચોકડી વચ્ચે બસ ઉભી રખાવી બસમાંથી ઉતરી ગયા હતા. અને નજીકમાં આવેલી પ્રથમ રેસિડેન્સીમાં રહેતા બનેવી ના ત્યાં જતા રસ્તામાં લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા તે દરમિયાન ત્રણ જેટલા વ્યક્તિઓ તેમની પાસે આવી ચડયા હતા અને જણાવ્યું હતું કે તારી પાસે જે પણ છે તે બધુ મને આપી દે નહીં તો તને મારી નાખીશ જેથી ગભરાયેલા કવાભાઈ એ હાથમાં પહેરેલું 200 ગ્રામ વજનનું ચાંદીનું કડું તથા મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 5000 આપતા ચારેય શખ્સો મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.