ગુજરાત
News of Sunday, 1st November 2020

ભાજપ માટે રાજનીતિને નહીં પણ રાષ્ટ્ર નીતિને પ્રાધાન્ય : કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા

વડાપ્રધાન વોટબેંકની કે સતાની પરવાહ કર્યા વિના દેશ હિતને સર્વોચ્ય સ્થાન આપી ભારતના” નિર્માણમાં મક્કતાપૂર્વક આગળ વધી રહ્યા છે: ગઢડા ક્ષેત્રમાં કેન્દ્રીય મંત્રીનો કાર્યક્રમ

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ  માંડવીયાનો ગઢડા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસમાં માંડવીયાએ પાટીદાર સમાજના અગ્રણીઓ/ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે અનેક વિપદાઓ અને સંકટો વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી વોટબેંકની કે સતાની પરવાહ કર્યા વિના દેશ હિતને સર્વોચ્ય સ્થાન આપી “નયા ભારતના” નિર્માણમાં મક્કતાપૂર્વક આગળ વધી રહ્યા છે. દેશના 130 કરોડ નાગરિકોના સપનાનું નવું ભારત સશક્ત છે અને સક્ષમ પણ છે. આ બાબતની સ્વીકૃતિ આજે વૈશ્વિક ફલક પર મળી રહી છે અને આપણે સૌ અનુભવી પણ રહ્યા છીએ.

માંડવીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના છ દસકાઓના ખાડા પ્રધાનમંત્રી મોદી છેલ્લા છ વર્ષથી પુરી રહ્યા છે. દેશહિતમાં અસંભવ લાગતા અનેક નિર્ણયો અને અશક્ય લાગતી અનેક નીતિઓનો અમલ તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારમાં થઈ રહ્યો છે. જેના સર્વસ્પર્શી બહુઆયામી પરિણામો વિવિધ ક્ષેત્રે દેશના નાગરિકોને મળી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્ર સેવાના સંકલ્પ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે જ “સ્વચ્છતા અભિયાન” વોકલ ફોર લોકલ” “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” જેવા અનેક ધ્યેય મંત્રો આજે સમગ્ર દેશમાં જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. આ બધા જન આંદોલનોને કારણે દેશના છબી બદલાઈ છે, અર્થતંત્ર, રોજગારી, સ્વદેશી વસ્તુઓના વપરાશને ઉતેજન મળ્યું છે સાથે સાથે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ ને નિશ્ચિત કરવામાં પણ મદદ મળી છે

 

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકારે પણ નાગરિકોના હિત અને પ્રજા કલ્યાણને પ્રાથમિકતા આપીને “ભાજપાની સરકાર એ પ્રજાની સરકાર” છે તે સિદ્ધ કર્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કોરોના મહામારી જેવી વૈશ્વિક આપદાના આરંભથી જ પ્રણાલીગત જડ શાસનવ્યવસ્થાથી ઉપર ઉઠીને લોકહિતમાં સંવેદનશીલ નિર્ણયો લીધા છે. કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારની નાગરિકો પ્રત્યેની કટિબદ્ધતા એ પ્રતિપાદિત કર્યું છે કે ભાજપ માટે “સત્તા એ સેવાનું માધ્યમ” છે અને રાજનીતિને નહીં પણ રાષ્ટ્ર નીતિને પ્રાધાન્ય મહત્વનું છે.

(11:34 pm IST)