ગુજરાત
News of Wednesday, 1st September 2021

નવસારીમાં એક જ પરિવારના ત્રણે ફાંસો ખાતા સનસનાટી

ત્રણ વર્ષની ફૂલ જેવી દીકરી અનાથ બની : પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં તેમણે પુત્રના મૃતદેહ નજીક ડાળી પર ફાંસો ખાઈ લીધો

નવસારી,તા.૧ : નવસારીના વાંસદા જિલ્લાના મોળાઆંબા ગામે પરિવારે સામુહિક આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોના મહામારીના કારણે વધુ એક પરિવાર વિંખાઈ ગયો છે. નવસારીના વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  મોળાઆંબા ગામના યુવાનને કોરોના થયો હતો. જેની સારવારમાં તેઓ બચી પણ ગયા, જો કે તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. જેથી કંટાળીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે માતા-પિતાએ તેને બચાવી લીધો હતો અને તે કોઈ ખોટું પગલું ન ભરે તેની તકેદારી રાખતા હતા. જોકે, પરિવારને નજર ચૂકવીને યુવાને આત્મહત્યા કરી લીધી. લાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. યુવાન અને તેના માતા-પિતાએ આત્મહત્યા કરી લેતા ૩ વર્ષની ફૂલ જેવી દીકરી પિતા અને દાદા-દાદી વિનાની થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર યોગેશને એક વર્ષ પહેલા કોરોના થયો હતો. કોરોનામાંથી યોગેશ રિકવર તો થઈ ગયો, પણ તે માનસિક રીતે અસ્થિર થઈ ગયો. આ કારણે તેણે ત્રણવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતાપિતાએ તેના પર ધ્યાન આપતા ત્રણેયવાર તે બચી ગયો હતો. પરંતુ આખરે માતાપિતાની નજર ચૂકવીને તેણે ફરીથી મોતનો રસ્તો અપનાવ્યો હતો. માતાપિતાની નજર ચૂકવીને તે ઘરથી બહાર નીકળ્યો હતો અને ઘરથી થોડે દૂર આવેલા આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. કલાકો સુધી પુત્રના ખબર ન મળતા માતાપિતાએ તેની શોધ ચલાવી હતી. જેથી આંબાના ઝાડ પર તેની લટકતી લાશ મળી આવી હતી. આ જોઈને માતાપિતા આઘાતમાં સરી પડ્યા હતા. પુત્ર વગર જીવી નહિ શકે તે જોઈે તેમણે પણ એ જ વૃક્ષ પર લટકીને મોત વ્હાલુ કર્યું હતું.

(8:45 pm IST)