ગુજરાત
News of Monday, 1st March 2021

કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના યોદ્ધાઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ મેળવ્યો

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, શહેર પોલીસ કમિશ્રનરએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લઇ સલામતીનો સંદેશ પાઠવ્યોઃ સ્વદેશી વેકિસન સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સંદેશ આપી લોકોને કોરોના રસીકરણના મહાઅભિયાનમાં જોડાવા અપીલ

રાજકોટ, તા. ૧ : આજરોજ અમદાવાદ જિલ્લાના કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના કોરોના યોદ્ધધાઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવી સલામતીનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ અને અમદાવાદ શહેર કમિશ્વર શ્રી સંજય શ્રીવાસ્તવે કોરોના રસીકરણનો બીજો ડોઝ લઇ કોરોના રસીકરણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવી નાગરિકોને રસીકરણ માટે પ્રેરયા હતા.

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેએ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઇ  પ્રજાજનોને સંદેશ આપતા કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં કોરોના ફ્રંટલાઇન વર્કસે ઉત્સાહભેર કોરોના રસીકરણના મહાઅભિયાનમાં સહભાગી થઇને રસીકરણ કરાવી કોરોના સામેની જંગમાં અભેદ સુરક્ષા કવચથી સજ્જ થયા છે. આજથી રાજ્યભરમાં શરૂ થઇ રહેલ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ દર્દીઓ માટેના રસીકરણ કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ દર્દીઓ કોરોના રસીકરણ અવશ્ય કરાવે તેમ જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવે કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યા બાદ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ કે, કોરોના રસીકરણના પ્રથમ ડોઝને ૨૮ દિવસ થઇ ગયા બાદ આજે બીજા ડોઝ માટે આવ્યા છીએ . આ ૨૮ દિવસમાં કોરોના રસીની કોઇપણ પ્રકારની આડઅસર શરીરમાં વર્તાઇ નથી. કોરોના રસીકરણના બીજા તબક્કાના અગ્રીમ હરોળના પોલીસ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસમિત્રોએ કોરોના રસીકરણ કરાવીને સલામતીનો સંદેશ આપ્યો છે.આગામી સમયમાં પણ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવીને તમામ પોલીસ કર્મીઓ કોરોના સામેની જંગમાં તેને મ્હાત આપવા એ જ ઉત્સાહથી કોરોનાની રસી મેળવશે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યા બાદ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કરો,પેરા મિલિટ્રી ફોર્સિસ,  NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) કંમાંડો, CRPF (સેર્ન્ટ્લ રીઝર્વ પોલીસ ફોર્સ) જવાનો, CISF( સેન્ટ્રલ ઇન્ડ્રસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોએ પણ કોરોના રસીકરણના મહાઅભિયાનમાં જોડાઇને રસીકરણ કરાવ્યુ છે . અમદાવાદ જિલ્લાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, મહેસૂલ વિભાગના કર્મીઓ સહિતના ફ્રંટલાઇન વર્કરોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવેલ તમામ ફ્રટંલાઇન વોરીયર્સમાં  કોરોના રસીકરણની આડઅસરનો એકપણ કેસ નોંધાયો નથી.  આગામી સમયમાં તેઓ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવવા પણ તૈયાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં અમદાવાદ અને ગાંધીનગરના અગ્રીમ હરોળના પોલીસ અધિકારીઓમાં જે.સી.પી. ટ્રાફિક શ્રી મંયકસિંહ ચાવડા, એડમિન જે.સી.પી. શ્રી અજય ચૌધરી,અમદાવાદ રેન્જ આઇ.જી.પી. શ્રી વી.ચંદ્રશેખર, સેકટર-૨ ડી.આઇ.જી. શ્રી ગૌતમ પરમાર, અમદાવાદ ગ્રામ્ય એસ.પી. શ્રી વિરેન્દ્ર યાદવ ઝોન-૪ ડી.,સી.પી. શ્રી રાજેશ ગઢિયા જેવા અગ્રિમ હરોળના પોલીસ કર્મીઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઇ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને સલામતી અને વેકિસન સંપૂર્ણપણે સૂરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, એડિશનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ.રાકેશ જોષી,ર્નસિંગ સ્ટાફ મિત્રોની દેખરેખ હેઠળ સમગ્રતયા રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.(સંકલન : અમિતસિંહ ચૌહાણ)

(3:07 pm IST)