Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોતઃ વિજય ભાઇ રૂપાણી

ગાંધીનગર ખાતે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્યમંત્રીએ પુષ્પાજંલિ અર્પણ કરીને ભાવવંદના કરી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશમાં પ્રાંત, જાતિ, ધર્મ, ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવો સંકલ્પ સૌ કરીએ તેમ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્યમંત્રીએ પુષ્પાજંલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ માટે સરદાર સાહેબના યોગદાનનું સ્મરણ કરતાં દેશવાસીઓમાં ઐક્યનો ભાવ વધુને વધુ પ્રસરે અને સૌ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધે તેવું આહવાન કર્યું હતું. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તે પરંપરા આજે પણ ચાલુ છે.

કેવડિયા ખાતે દેશના વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. તેની સાથે-સાથે ગુજરાતના વિવિધ સ્થળોએ પણ ગુજરાતના સપૂત અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોત.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તે સમયે કાશ્મીરની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી ન હોતી અને કાશ્મીરની સમસ્યા જે અત્યાર સુધી રહી તેને ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી અને હવે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આતંકવાદનો પણ ત્યાં સફાયો થયો છે.

આ પુષ્પાંજલિ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ વાડીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ વગેરેએ પણ સરદાર સાહેબને અંજલિ આપી હતી.

ગાંધીનગર જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્ય, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ, અધિક નિવાસી કલેકટર એચ.એમ.જાડેજા, ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ.ભોરણિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.એસ.દવે સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:32 pm IST)