Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અમદાવાદમાં રાત્રિના સમયમાં રમાનાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચના કારણે મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફારઃ અડધી રાત સુધી મળી રહેશે

- મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારીને રાત્રિના 10 કલાકને બદલે રાત્રિના 12.30 કલાક સુધી કરવામા આવેલ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે, જેના કારણે શહેરજનોમાં ક્રિકેટ ફીવર છવાયો છે. સ્ટેડિયમ પર લોકો ટિકિટ લેવા માટે ઉમટી પડ્યા છે. રાત્રિના સમયમાં રમાનાર મેચના કારણે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તા.30-01-2023થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સવારે 7 કલાકથી રાત્રિના 10 કલાક સુધી ચાલુ છે.

તા. 01-02-2023 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત ટી-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારીને રાત્રિના 10 કલાકને બદલે રાત્રિના 12.30 કલાક સુધી કરવામા આવેલ છે. તથા આ દિવસે મુસાફરોની સુવિધા માટે વધારેલ સમય દરમ્યાન એટલે કે રાત્રિના 10 કલાકથી રાત્રિના 12.30 કલાક સુધી દર 15 મિનીટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે. આ વધારેલ સમય દરમ્યાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે.

હાલ શહેરજનો તેમની પસંદગીના ખેલાડી જેવી ટી-શર્ટની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સ્ટેડિયમની બહાર ટી-શર્ટ અને અન્ય એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. હાલ મેચની 500 અને 1000 રૂપિયાની તમામ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. જ્યારે અન્ય ટિકિટ હજી મળી રહી છે.

(8:44 pm IST)