Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સુરતના અમરોલી વિસ્‍તારમાં ઘરમાં લાઇટ ચાલુ-બંધ કરતા મુક-બધીર પુત્રને પિતાએ ઠપકો આપતા રોષે ભરાયેલા પુત્રએ પિતાને પથ્‍થર મારી મોતને ઘાટ ઉતાર્યા

માથાના ભાગે પથ્‍થર વાગતા ગણેશભાઇના રામ રમી ગયા

સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મકબુધીર પુત્ર ઘરમાં લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો અને તે વાતનો પિતાએ ઠપકો આપી રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ મારી દીધું હતું, તો બીજી તરફ રોષે ભરાયેલા પુત્રએ મસાલા પીસવાનો પત્થર માથામાં મારી દેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી સ્થિત વૃંદાવન સોસાયટીમાં ગણેશ સ્વાઇ પોતાના બે પુત્રો સાથે રહે છે અને લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. તેઓનો એક પુત્ર ગણેશ જે ડાયમંડ ફિક્સિંગનું કામ કરે છે. જ્યારે બીજો પુત્ર શંકરશન મુકબધિર છે. ગતરોજ ગણેશભાઈ ઘરે આવીને સુતા હતા, તે દરમ્યાન તેઓનો મુકબધીર પુત્ર શંકરશણ ઘરની લાઈટ ચાલુ બંધ કરતો હતો. જેથી પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો. તેમજ પિતાએ પુત્રને ચપ્પુથી હાથ પર મારી ઈજા પહોચાડી હતી. જેમાં રોષે ભરાયેલા પુત્રએ ત્યાં રહેલો મસાલા પીસવાનો પત્થર પિતાને માથામાં માર્યો હતો.

માથામાં પત્થર વાગતા પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાદ બીજો પુત્ર નોકરી પરથી ઘરે આવીને જોતા તેના પિતા મૃત હાલતમાં પડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સમગ્ર ઘટના મામલે અમરોલી પોલીસે હત્યારો પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(8:06 pm IST)