Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શેતલ પંડયા સતત ર૮ વર્ષ કેશુભાઇનો પડછાયો બનીને રહ્યા

દિનકા ઉજાલા હોકર ભી ઘનઘોર અંધેરા છા ગયા, જિંદગી કુછ તો બતા અચાનક યે કયાં હો ગયા? : અંગત મદદનિશ અશ્રુભીની આંખે વર્ણવે છે સંભારણાઃ બાપા સ્ટાફને પરિવારની જેમ સાચવતાઃ કોઇ કાર્યક્રમમાં સ્ટાફને જમવાનું બાકી હોય ત્યાં સુધી તેઓ સ્થળ છોડવા માટે ઉભા થતા નહિઃ મૃત્યુની આગલી રાત્રે ર વાગ્યે નાસ્તો કર્યો કોરાના યોધ્ધાઓના માનમાં તાળી અને થાળી વગાડવાના કાર્યક્રમમાં જોડાયેલાઃ બાપા અજાત શત્રુ હતા

રાજકોટ તા.૩૦ : ગામડાની ધૂળથી રજોટાઇને રાજગાદી સુધી પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલે ગઇકાલે દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. તેમને હયાતીની જેમ મરણોતર પણ અપાર માન મળ્યું છે. ગામેગામ કેશુભાઇના ચાહકો છે. તેમના અંગત મદદનિશ ગાંધીનગર નિવાસી શ્રી શેતલ પંડયા સતત ર૮ વર્ષથી તેમની સાથે રહયા છે. બાપાના રાજકીય ચઢાવ-ઉતારના તેઓ નિકટના સાક્ષી રહ્યા છે. બાપાના પરિવાર જેટલા નિકટના વ્યકિત રહ્યા છે. બાપા તેમના ખભાના ટેકાથી ચાલતા હોય તેવા દ્રશ્યો અનેકવાર જોવા મળેલ. બાપાની ચિરવિદાયથી વ્યથિત શેતલ પંડયા અશ્રુભીની આંખે સંભારણા સાથે બાપાની મહાનતા વર્ણવી રહ્યા છે. (મો.૯૮રપ૩ ૦૪૯૦૦)

શેતલ પંડયા કહેછે તેઓ ૧૯૯પમાં મુખ્યમંત્રી બન્યા તે પૂર્વેથી હું તેમની સાથે છું તેમણે મને અને મારી સાથે ફરજમાં રહેલા અન્ય સાથીદારોને અઢળક સ્નેહ આપેલ. મૃત્યુની આગલી સાંજથી તબિયત થોડી નરમ જણાતા હું રાત્રે તેમનીસાથે બંગલે જ રહેલ સામાન્ય રીતે રાતથી સવાર સુધી કંઇ ખાતા નહિ પણ આગલી રાત્રે ર વાગ્યે હળવો નાસ્તો કરેલ વહેલી સવારે ચા પીધેલ કોરોના સામે મારા પરિવારને સાવચેત રાખવા મને શિખામણ આપેલ. સવારે હું મારા ઘરે ગયો તે વખતે તેમને શ્વાસમાં તકલીફ થતા હું તુરત બંગલે દોડી આવેલ અમે ૧૦૮ બોલાવી હોસ્પિટલે જતા હતા તે વખતે એમ્બ્યુલન્સમાં પણ મારી વાતનો હોકારો આપતા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા પછી થોડીવારમાંજ તેમણે દેહત્યાગ કર્યો હતો આનંદમાં રહેવાનું છેવટ સુધી કહેતા હતા. શેતલ પંડયા કહે છે તેઓ અંગત સહાયકો અને સુરક્ષા કર્મચારીઓનું બહુ ધ્યાન રાખતા. જમણવારના કોઇ પ્રસંગમાં સ્ટાફને જમવાનું બાકી હોય ત્યા સુધી પોતે જવા માટે કયારેય ઉતાવળ કરતા નહિ. રોજીંદા જીવનમાં પણ અમારા બધાની લાગણીભીની કાળજી રાખતા. તેઓ અજાતશત્રૂ હતા. તેમના મનમાં કોઇના માટે કડવાશ ના હતી. તેમના જીવનની છેલ્લી ઘડી સુધી હું તેમની સાથે રહીને ઘણુ શીખ્યો છું. લગભગ ત્રણેક દાયકા તેમની મદદમાં અને સેવામાં રહેવાનો મોકો મળ્યો તેને હું મારા જીવનનું સૌભાગ્ય સમજુ છું તેઓ અમારા માટે સ્વર્ગસ્થ નહિ હૃદયસ્થ છે ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના કરૃં છું.

(11:28 am IST)